જયપુર : રાજસ્થાન રોયલ્સ સામેની અહીંની મેચ કિંગ્સ ઇલેવન પંજાબે ભલે જીતી લીધી હોય પણ આ મેચમાં પંજાબના કેપ્ટન અશ્વિને જોસ બટલરને માંકડિંગ રનઆઉટ કરતાં તેની આકરી ટીકા થઇ રહી છે, તેમા પણ રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ને અશ્વિન દ્વારા કરાયેલા આ રનઆઉટની આકરી ટીકા કરતાં તેની આ હરકતને શરમજનક તેમજ સ્પોર્ટસમેન સ્પિરીટની વિરુદ્ધની ગણાવી હતી.
વોર્ને ટિ્વટર પર લખ્યું હતું કે એક કેપ્ટન તરીકે અને એક વ્યક્તિ તરીકે અશ્વિને નિરાશ કર્યા. તમામ કેપ્ટન સ્પોર્ટસમેન સ્પિરીટ સાથે રમવાના કરાર પર હસ્તાક્ષર કરે છે. તે સમયે જો અશ્વિન બોલ ફેંકવા નહોતો જઇ રહ્યો તો એ ડેડ બોલ ગણાય. હવે બીસીસીઆઇએ એ ધ્યાન રાખવાનું છે, કારણ તેનાથી આઇપીએલની ઇમેજ સારી તો નથી જ થવાની. તેણે વધુમાં લખ્યું હતું કે અશ્વિનની હરકત શરમજનક હતી અને આશા રાખું છું કે બીસીસીઆઇ આ પ્રકારનું વર્તન સહન નહીં જ કરે.
વોર્ને લખ્યું : બેન સ્ટોક્સ આવું કરે તો આશ્ચર્ય ન થાય
વોર્ને લખ્યું હતું કે ટીમના કેપ્ટન હોવાને કારણે તમારે બધા માટે ઉદાહરણરૂપ બનવું જોઇએ કે ટીમે કેવી રીતે રમવુ. આ પ્રકારની શરમજનક અને નીચલી પાયરીની હરકત કરવાની શું જરૂર હતી. હવે તો માફી માગવાનો સમય પણ વહી ગયો છે. તમે હંમેશા આવી હરકતને કારણે યાદ રાખવામા આવી શકો છો. તેણે વધુમાં લખ્યું હતું કે જો બેન સ્ટોક્સે આવું કર્યું હોત તો મને અચરજ નહીં થાત, પણ અશ્વિન અલગ છે. આજે કિંગ્સ ઇલેવન પંજાબે ઘણાં ચાહકો ગુમાવી દીધા હશે, તેણે એવું પણ કહ્યું હતું કે અશ્વિનની આ હરકતનું સમર્થન કરનારા ક્રિકેટ પંડિતો અને ભારતના માજી ખેલાડીઓને પુછવા માગીશ કે શું કોહલી સાથે આવું કોઇ મેચમાં થાય તો પણ શું તમે એ બોલરનું સમર્થન કરશો.