આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ વન ડે મેચ રમાનાર છે ત્યારે ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમસને સ્વિકાર કર્યો છે કે, ભારતીય ટીમને તેના દેશમાં હરાવવું મોટો પડકાર છે.
વિલિયમસને કહ્યું કે, સ્વદેશમાં ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. અમે જાણીએ છીએ કે, ભારતને હરાવવું ગણું મુશ્કેલ છે. સ્વદેશમાં તે દુનિયાની સૌથી મજબૂત ટીમ છે. તેમાં કોઇ સંદેહ નથી કે અમે અમારે અમારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયમાં અમે સારો દેખાવ કર્યો છે અને અમને ખબર છે કે, અહીંયા ઘણો મોટો પડકાર હશે. સ્વદેશમાં વન ડે સિરીઝમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2009-2010માં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદથી ભારતે સ્વદેશમાં રમેલી 16 સિરીઝમાંથી માત્ર બે ગુમાવી છે.
વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ભારતનો સામનો કરનાર છે ત્યારે આ સંદર્ભમાં વિલિયમસને કહ્યું કે, અમે વર્લ્ડ કપની કેટલીક મેચો અહીંયા રમી હતી. પરંતુ, અન્ય પ્રતિસ્પર્ધીઓની સામે. જો કે, ખેલાડીઓ અહીંયા આઇપીએલ મેચ રમ્યા છે. આ સારું સ્ટેડિયમ છે અને વાનખેડેમાં સિરીઝની શરૂઆત થવી સારું છે. તેણે એમ પણ કહ્યું કે, કાલની મેચમાં ઓપનર બેટસમેન ગુપ્ટિલ અને મુનરો હશે. બંને સારા શોટ ફટકારનાર ખેલાડી છે અને પોતાની નૈસર્ગિક રમત રમવાનો પ્રયાસ કરે છે. જ્યારે ટૉમ લાથમન મધ્યમક્રમમાં બેટિંગ કરશે.