શ્રીલંકાના કેપ્ટન દિમૂથ કરુણારત્નેઍ સોમવારે કહ્યું હતું કે દિગ્ગજ શ્રીલંકન ઝડપી બોલર લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની ૩ વનડેની સિરીઝની પ્રથમ મેચ પછી વન-ડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ લેશે. 26 જુલાઇથી શરૂ થનારી બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની સિરીઝ માટેની 22 સભ્યોની શ્રીલંકન ટીમમાં મલિંગાનો પણ સમાવેશ થાય છે.
શ્રીલંકાના કેપ્ટને જાકે ટીમની પ્રેસ કોન્ફરન્સમાં ઍવું કહ્યું હતું કે માજી કેપ્ટન અને ઝડપી બોલર મલિંગા માત્ર પહેલી મેચ માટે જ ઉપલબ્ધ છે. તે માત્ર પહેલી મેચ રમશે અને તે પછી નિવૃત્તિ લેવાનો છે. ઍવું તેણે મને કહ્યું છે. મને ઍ ખબર નથી કે તેણે પસંદગીકારો સાથે શું વાત કરી છે, પણ મને તેણે કહ્યું છે કે તે માત્ર ઍક જ મેચ રમવાનો છે ઍવું કરુણારત્નેઍ કહ્યું હતું.
વન ડે ક્રિકેટમાં મલિંગા 219 મેચમાં અત્યાર સુધી 335 વિકેટ લઇ ચુક્યો છે. તે શ્રીલંકાનો ત્રીજો સર્વોચ્ચ વિકેટ લેનારો બોલર છે. સૌથી પહેલું નામ મુથૈયા મુરલીધરનનું છે જેણે 523 વિકેટ ઉપાડી છે. તેના પછી 399 વિકેટ સાથે ચામિંડા વાસનું નામ આવે છે. વર્લ્ડ કપ 2019માં પણ મલિંગા શ્રીલંકાનો સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બન્યો હતો. તેણે 7 મેચમાં 13 વિકેટ ઉપાડી હતી.
મલિંગાએ 2011માં ટેસ્ટને પણ અલવિદા કરી દીધુ હતું અને તે પછી તેણે માત્ર વન ડે અને ટી-20માં રમવાનું ચાલુ રાખ્યું હતું. આ પહેલા મલિંગાએ એવું નિવેદન કર્યું હતું કે વર્લ્ડ કપમાં તે પોતાની છેલ્લી મેચ રમશે, અને આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રહેશે.