Murali Kartik on Gill: પહેલી ટેસ્ટમાં હાર બાદ ગિલની કેપ્ટનશીપ પર ઉપજ્યો વિવાદ, કાર્તિકે કહ્યું – ટીમમાં એક નહિ, ઘણા કેપ્ટન હતા
Murali Kartik on Gill: ઇંગ્લેન્ડ સામે હેડિંગ્લી લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર માત્ર સ્કોરબોર્ડ પર નહોતી, પરંતુ ટીમ ઈન્ડિયાની અંદરની સ્થિતિ પણ બહાર આવી ગઈ. 25 વર્ષીય શુભમન ગિલનો કેપ્ટન તરીકેનો આ પહેલો ટેસ્ટ હતો અને મેચના પરિણામ બાદ ગિલની કેપ્ટનશીપ પર ઘણા પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.
વિશાળ 371 રનના લક્ષ્યના બચાવ દરમિયાન, ભારતીય ટીમ તૂટેલી લાગી. બેન ડકેટ અને ક્રોલી વચ્ચેની 188 રનની ઓપનિંગ ભાગીદારીએ ભારતની આશાઓ ભાંગી નાખી હતી. મેદાન પર ગિલ લાચાર જણાતો હતો, કોઈ સ્પષ્ટ યોજનાઓ નહોતી અને ફિલ્ડિંગ સેટ પણ વારંવાર બદલાતી હતી. ગિલનો પ્રયાસ હોવા છતાં, તેમનાથી આત્મવિશ્વાસભર્યો નેતૃત્વ દેખાઈ ન આવ્યુ.
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર મુરલી કાર્તિકે ગિલની કેપ્ટનશીપ પર ગંભીર ટિપ્પણી કરી છે. ક્રિકબઝ પર ચર્ચા દરમિયાન કાર્તિકે કહ્યું કે, “મને લાગ્યું કે મેદાન પર એક નહીં પરંતુ ઘણા કેપ્ટન હતા. ક્યારેક કેએલ રાહુલ સૂચનાઓ આપતો હતો, તો ક્યારેક ઋષભ પંત ફિલ્ડ સેટ કરતો હતો. ગિલ વચ્ચે હતા પણ નેતૃત્વ સ્પષ્ટ ન હતું.”
કાર્તિકે ટીમની અસંગત રણનીતિ અને દિશાહિન મેદાની વ્યવસ્થા પર પણ નિશાન સાધ્યું. તેમણે ઉમેર્યું કે, “835 રન બનાવ્યા પછી પણ 5 વિકેટથી હારવું એક મોટું સૂચન છે કે આંતરિક દિશા અને સંકલનનો અભાવ છે.”
કેટલાક નિષ્ણાતોએ ગિલને રક્ષણાત્મક ઢાંચામાં ફસાઈ જવાનો આક્ષેપ પણ મૂક્યો છે. પરિણામે, ટૂંકા ગાળામાં જો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે શ્રેણી બચાવવા માગતી હોય તો આગામી ટેસ્ટમાં ગિલને પોતાની કેપ્ટનશીપ સાબિત કરવી પડશે.
2 જુલાઈથી શરૂ થનારી બર્મિંગહામ ટેસ્ટ હવે ગિલ માટે ગંભીર કસોટી બની રહી છે, જ્યાં તે પોતાની લીડરશિપ ક્ષમતાઓ સાબિત કરી શકે છે કે નહીં એ પર બધા નઝર રાખશે.