22 ઓક્ટોબરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝ શરૂ થઇ રહી છે. ત્યારે સીરીઝ શરૂ થાય તે પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમનો ઓલરાઉન્ડર બેટસમેન ટૉડ એસ્ટલ ઇજાના કારણે વન ડે સિરીઝમાંથી બહાર થઇ શકે છે. બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન મેચ દરમિયાન એસ્ટેલને ઇજા પહોંચી હતી. આ વાતની જાણકારી ન્યૂઝીલેન્ડ ટીમના પ્રવકતાએ આપી હતી.
બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે રમતા એસ્ટેલે બોલિંગ કરતા માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા ત્યારે તેને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ કપ્તાન કેન વિલિયમ્સને તેની ઓવર પૂરી કરી હતી. એસ્ટેલે ન્યૂઝીલેન્ડ એ ટીમ તરફથી ભારતીય એ ટીમ સામે શાનદાર ફોમમાં હતો. તેણે 27.83ની એવેરજથી 6 વિકેટ લીધી હતી. જેના કારણે તેને ભારત સામે વન ડે સિરીઝની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી 2 ટેસ્ટ અને 2 ટ્વેન્ટી-20 મેચ રમનાર એસ્ટેલની જગ્યાએ ઇશ સોઢીને ટીમમાં સામેલ કરવામાં આવે તેમ મનાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છેકે, ન્યૂઝીલેન્ડ ટીમનો ભારત પ્રવાસ નિરાશાજનક રીતે થયો છે. મુંબઇના બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ અભ્યાસ મેચમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે પ્રવાસી ટીમનો 30 રનથી પરાજ્ય થયો હતો. બંને ટીમો વચ્ચે બીજી અભ્યાસ મેચ 19 ઓક્ટોબરે રમાશે. ત્યાર બાદ 22 ઓક્ટોબરથી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વન ડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. બંને દેશો વચ્ચે ત્રણ વન ડે અને ત્રણ ટ્વેન્ટી-20 મેચની સિરીઝ રમાનાર છે.