આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યુ છે કે જેમાં ટીમ ઇન્ડિયાના વિજય માટે માત્ર ભારતીયો જ નહીં પણ પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો પણ દુવા માગી રહ્યા છે. પાકિસ્તાનના ચાહકો એવું ઇચ્છે છે ક રવિવારે રમાનારી ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ જીતી જાય. હકીકતમાં તેમને કંઇ ટીમ ઇન્ડિયા માટે પ્રેમ નથી ઉભરાયો પણ જો ઇંગ્લેન્ડ ભારતીય ટીમ સામે જીતશે તો પાકિસ્તાનના સેમી ફાઇનલ પ્રવેશ આડે અવરોધ આવી શકે છે અને તેથી તેઓ ઇચ્છે છે કે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની સામે જીતી જાય..
વર્લ્ડ કપના સમીકરણ જ એવા ઊભા થયાં છે કે જેમાં પાકિસ્તાની ક્રિકેટરો ઇચ્છે કે ન ઇચ્છે પણ તેમણે ભારતીય ટીમ જીતે એવી જ કામના કરવી પડે તેમ છે. એ ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની ટીમના માજી કેપ્ટન નાસીર હુસેને પણ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને એવો સવાલ કર્યો હતો કે તેઓ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચમાં કઇ ટીમનું સમર્થન કરશે. તેણે ટિ્વટર પર આ સવાલ કરીને હકીકતમાં તો પાકિસ્તાની ચાહકોની મજા જ લીધી હતી.