કર્ણાટક પ્રીમિયર લીગ (કેપીએલ)ની ટીમ બેલાગાવી પેન્થર્સના માલિક અલી અશફાક થારાની આ લીગમાં કથિત સટ્ટાબાજીના આરોપમાં બેંગલુરૂ પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (સીસીબી) યૂનિટે ધરપકડ કરી છે. આ થયેલી કેપીએલ સિઝનમાં કથિત સટ્ટાબાજી રેકેટની તપાસ પછી આ પગલું ભરવામાં આવ્યું છે. 2017માં બેલાગાવી પેન્થર્સને ખરીદનારા ટૂર્સ એન્ડ ટ્રાવેલ બિઝનેસમેન અલી અસફાક થારાની ઘણાં દિવસો સુધી પૂછપરછ કરાયા પછી તેની ધરપકડ કરવામાં આવી છે.
તેની સાથે જ કેપીએલ સાથે જોડાયેલા ઘણાં અન્ય લોકો કે જેમા ખેલાડીઓ અને એકથી વધુ ટીમોના કોચિંગ સ્ટાફ સામેલ છે તેમની પણ પુછપરછ કરવામાં આવી છે. પોલીસના જોઇન્ટ કમિશનર સંદીપ પાટીલનું કહેવું છે કે સીસીબીએ કેપીએલમાં સટ્ટાબાજી થઇ રહી હોવાનો ખુલાસો કર્યો હતો. અલી મેચીસ પર સટ્ટો રમતો હતો અને તે કથિત રીતે દુબઇના એક બુકી દ્વારા સટ્ટો રમતો હતો. તેની ધરપકડ સટ્ટાબાજી માટે જ થઇ છે.