નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરી દીધો છે. પગના ભાગે ઈજા થવાને કારણે રોહિત શર્મા હવે ન્યુઝીલેન્ડ સામે વનડે સિરીઝ અને 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે નહીં. ન્યુઝીલેન્ડ સામે પાંચમી અને અંતિમ ટી 20 માં ‘હિટમેન’ રોહિત શર્મા બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
આ મેચમાં રોહિત શર્મા ફિલ્ડિંગ માટે ગયો ન હતો, પરંતુ તેનો સાથી ખેલાડી લોકેશ રાહુલે ટીમ ઈન્ડિયાની આગેવાની કરી હતી. ન્યુ ઝિલેન્ડ સામે માઉન્ટ મંગનુઇ ખાતે રમાયેલી પાંચમી ટી -20 મેચ દરમિયાન, રોહિતને પગના સ્નાયુઓ ઝડપી રન બનાવવાની કોશિશમાં ખેંચાઈ ગયા હતા અને 41 બોલમાં 60 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈને પાછું ફરવું પડ્યું હતું.