મુંબઇ: વન-ડે સીરીઝમાં ન્યુઝીલેન્ડને 2-1 થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતની નજર હવે ટી 20 સીરીઝમાં પણ જીત જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી શરૂ થઇ રહેલી ત્રણ ટ્વેન્ટી-20 મેચની સિરીઝમાં પ્રવાસી ટીમમાં રોસ ટેલરની પસંદગી કરાઇ છે. નોંધપાત્ર છે કે, જ્યારે પ્રારંભમાં ન્યૂઝીલેન્ડની ટ્વેન્ટી-20 ટીમની જાહેરાત કરાઇ ત્યારે ટીમમાં રોસ ટેલરને સામેલ કરાયો ન હતો. બાદમાં તેને ટૉડ એસ્ટલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
એસ્ટલ ભારત પ્રવાસ દરમિયાન મુંબઇમાં બોર્ડ પ્રેસિડેન્ટ સામે પ્રેકિટસ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. એસ્ટેલના સ્થાને ટીમમાં વાપસી કરનાર ટેલરની લગભગ દોઢ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ટ્વેન્ટી-20 ટીમમાં વાપસી થઇ રહી છે. ટેલરનું ભારતીય પ્રવાસમાં સરાહનીય પ્રદર્શન રહ્યું છે. તેણે વન ડે સિરીઝમાં કુલ 155 રન બનાવ્યા હતા.
પ્રવાસી ટીમના કોચ માઇક હેસને પણ માન્યું છે કે, ટેલર સારા ફોમમાં ચાલી રહ્યો છે, અને તેનો અનુભવ ટીમને કામ આવશે. પ્રવાસી ટીમ ભારત સામે બુધવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં ત્રણ ટ્વેન્ટી-20 મેચની સિરીઝની પ્રથમ મેચ રમશે.