ભારતીય ક્રિકેટ ટીમની વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની શુક્રવારે મળનારી બેઠક અચાનક સ્થગિત કરી દેવામાં આવી છે. અગાઉથી નિર્ધારીત થયા અનુસાર 19મી જુલાઇઍ બેઠક કરીને વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમ પસંદ કરવા માટે બેઠક થવાની હતી પણ હવે તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે, સીઓએના નિર્દેશને પગલે આ બેઠક ટળી છે. જે નિર્દેશ જારી થયાં છે તે અનુસાર પસંદગીની બેઠક બોલાવવાનો અધિકાર સચિવના સ્થાને હવે પસંદગી અધ્યક્ષને જ અપાયો છે. આ નિયમને કારણે દસ્તાવેજી પ્રક્રિયા જરૂરી હોવાથી આ બેઠક ટળી છે. સંભાવના ઍવી છે કે આ બેઠક હવે 20મી અથવા તો 21મીઍ મળશે. ભારતીય ટીમ 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીના વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવાની છે અને ઍ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટની સિરીઝ રમવાની છે.
આવતા મહિને થનારા વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે ઍમઍસકે પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિ જ્યારે પણ ભારતીય ટીમની પસંદગી કરવા માટે બેઠક કરશે ત્યારે તેમની સામે મહત્વના બે મુદ્દા રહેશે, જેમાં ઍક દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનું ભાવિ અને બીજા મુદ્દો વિરાટ કોહલીની ઉપલબ્ધતાનો રહેશે. 38 વર્ષનો ધોની બેટ વડે હવે મેચ ફિનિશર રહ્યો નથી, તેણે પોતાની નિવૃત્તિ અંગે હજુ કોઇ ફોડ પાડ્યો નથી અને તેના અંગે અટકળોનું બજાર ગરમ જ છે.
ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને ઋષભ પંતને પ્રાથમિકતા આપશે
આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને પસંદગીકારો ધોનીના વારસ ગણાતા યુવા વિકેટકીપર ઋષભ પંતને તક આપી શકે છે. ઍ ઉલ્લેખનીય છે કે ધોનીને ગત વર્ષે ઓક્ટોબરમાં પણ વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર રખાયો હતો અને ઍવી પુરી સંભાવના છે કે આ પ્રવાસમાંથી પણ તેને બાકાત જ રખાશે.
કેટલાક નિષ્ણાતોના મતે આગામી લાંબી ડોમેસ્ટિક સિઝનને ધ્યાને લઇ કોહલીને આરામ આપવો જોઇઍ
આ સિવાયનો જે બીજા મુદ્દો છે તે કોહલીની ઉપલબ્ધતાનો છે. કોહલી લાંબા સમયથી રમી રહ્યો છે અને ઘણાંનું માનવું છે કે આગળની લાંબી ડોમેસ્ટિક સિઝનને ધ્યાને લઇને તેને આરામ આપવો જોઇઍ અને ઍ સ્થિતિમાં શોર્ટ ફોર્મેટમાં ટીમનું સુકાન રોહિત શર્મા સંભાળી જ શકે છે. પસંદગીકારો આ મામલે કોહલીને સમજાવી શકશે કે કેમ તે બે દિવસ પછી જ ખબર પડશે. બની શકે કે કોહલીને સમજાવીને ટી-20 અને વનડેમાંથી બહાર રાખીને તેને ટેસ્ટ ટીમમાં સમાવાશે. કારણ આ બંને ટેસ્ટ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો જ ઍક ભાગ છે. જસપ્રીત બુમરાહ અંગે પણ ઍવો જ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.