ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ પર્થના વાકા સ્ટેડિયમમાં શરૂ થયા બાદ ઇંગ્લેન્ડના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરે મેચ ફિક્સિંગનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. ન્યૂઝ પેપરે દાવો કર્યો છે કે, પર્થ ટેસ્ટ મેચ ફિક્સ કરાવવા માટે તેમની પાસે ભારતના બે બુકી આવ્યા હતા અને મેચ ફિક્સ દ્વારા કરોડો રૂપિયા કમાઈ શકે છે તેવો દાવો કર્યો હતો. બુકીઓએ પર્થ ટેસ્ટ મેચના ફિક્સ કરાયેલા ભાગને વેચવાની રજૂઆત કરી હતી. જેના આધારે મોટી રમક જીતવા માટે સટ્ટો લગાવી શકાય છે. જોકે, ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં સ્પોટ ફિક્સિંગ અથવા મેચ ફિક્સિંગ થયાની જાણકારી હજુ બહાર આવી નથી.
બુકીઝ સોબર્સ જોબન અને પ્રિયાંક સક્સેનાનું નામ બહાર આવ્યું
ધ સન ન્યૂઝ પેપરના સ્ટિંગ ઓપરેશનમાં બે ભારતીય એ દાવો કરી રહ્યા છે કે, આઈપીએલથી લઈને બિગ બેશ સુધી તેમજ એશિઝના મુકાબલા ફિક્સ કરવાની તાકાત ધરાવે છે. આ બુકીમાં સામેલ એકનું નામ સોબર્સ જોબન અને બીજાનું નામ પ્રિયાંક સક્સેના છે. સોબર્સ જોબનના પિતા બલજિત જોબન ઘણા વર્ષો સુધી ડીડીસીએના સભ્ય રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ડીડીસીએ સાથે જોડાયેલી જુનિયર ટીમોમાં કોચ અથવા મેનેજરની ભૂમિકા ભજવી ચૂક્યા છે. બલજિત જોબન લાલબહાદુર શાસ્ત્રી કોચિંગ સેન્ટર નામથી એક ક્રિકેટ ક્લબ પણ ચલાવે છે જે ડીડીસીએ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
આઈસીસીએ ફિક્સિંગ અંગે તપાસ શરૂ કરી
ન્યૂઝ પેપર દ્વારા આઈસીસીને આ અંગે જાણકારી આપી હતી. આઈસીસીએ ન્યૂઝ પેપરના દાવા પર ચિંતા વ્યક્ત કરી તપાસ શરૂ કરી દીધી છે પરંતુ આઈસીસીને નથી લાગતુ કે, આ મેચ ફિક્સ છે. આઈસીસીના એન્ટિ કરપ્શન વિભાગના જનરલ મેનેજર એલેક્સ માર્શે કહ્યું કે, આ મામલે ધ સન અથવા અમારી તપાસના આધાર પર અત્યારે એવા કોઈ પુરાવા મળ્યા નથી કે પર્થ ટેસ્ટ મેચમાં ફિક્સિંગ થયું હોય. અત્યાર સુધીની તપાસમાં એવા કોઈ સંકેત મળ્યા નથી કે, આ ટેસ્ટમાં રમી રહેલો કોઈ ખેલાડી કથિત રીતે ફિક્સરોના સંપર્કમાં હોય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સધરલેન્ડે પણ કહ્યું કે, આરોપ ગંભીર છે પરંતુ આઈસીસીને સોંપવાયેલા દસ્તાવેજોના આધારે કહી શકું છું કે, આ ટેસ્ટ મેચ અને આખી એશિઝ સિરીઝમાં ફિક્સિંગ થયાનું કોઈ કારણ જોવા મળતું નથી.