ટીમ ઇન્ડિયા હાલ તેનું બેસ્ટ પ્રદર્શન કરી રહી છે. ત્યારે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ટીમના તમામ સભ્યોને પોતાના કડક સબ્દોમાં સંદેશો આપ્યો છે. ભારતીય ટીમ વર્ષ 2018માં વિદેશી પ્રવાસો પર જનાર છે ત્યારે ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું છે કે, તેઓ આ પહેલા કેટલાક મુખ્ય બેટસમેનોને આરામ આપશે.
વિરાટ કોહલીએ કહ્યુંકે, માત્ર બેટસમેન જ નહીં પણ ટીમ મેનેજમેન્ટ આવનાર સપ્તાહોમાં બોલરોને પણ રોટેટ કરશે, જેથી તેઓ વિદેશી પ્રવાસ માટે તરોતાજા રહે. આ ઘણો વ્યસ્ત કાર્યક્રમ છે. અમારે ભવિષ્યને લઇને ઘણી વાત કરવી પડશે. જો તમે ન્યૂઝીલેન્ડની ટીમને જોશો તો તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ક્રિકેટ રમ્યા નથી. તેમના ખેલાડીઓને આરામની ઘણી તક મળી છે. મોટી ટૂર્નામેન્ટોમાં તેનાથી અંતર પેદા થઇ શકે છે.
વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે, દરેકને વાપસી માટે સમયની જરૂર છે. ખાસ કરીને ઝડપી બોલરોને, એટલા માટે અમે આ ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની સાથે કરી રહ્યાં છીએ. અમે તેમને ટેસ્ટ સિરીઝ પહેલા તરોતાજા રાખવા ઇચ્છીએ છીએ. અમે થાકેલા ખેલાડીઓને ઇચ્છતા નથી અને તેના પર અમે વાત પણ કરી ચૂક્યા છીએ. એટલે સુધી કે કેટલાક મુખ્ય બેટસમેનોને પણ ચૌક્કસ રીતે ભવિષ્યમાં આરામ આપવામાં આવશે. કારણ કે આગામી વિદેશી પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ઘરેલુ સિરીઝ રમ્યા બાદ આવતા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જશે. જેમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ, છ વન ડે અને ત્રણ ટ્વેન્ટી-20 મેચ રમશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ જશે. જ્યાં તેઓ ત્રણ ટ્વેન્ટી-20, ત્રણ વન ડે અને પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ જુલાઇ 2018માં શરૂ થશે.