આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો અડધોથી થોડો વધુ પ્રવાસ પૂર્ણ થયો છે અને ભારતીય ટીમ સેમી ફાઇનલના પ્રવેશથી બે વિજય દૂર છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી વર્લ્ડ કપમાં પોતાના જોરદાર પ્રદશર્નથી અજેય રહી છે. ભારતીય ટીમે કુલ પાંચ મેચ રમી છે, જેમાંથી ચારમાં વિજય મેળવ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની એક મેચ વરસાદે ધોઇ નાંખી છે. ભારતીય ટીમે હવે 10 દિવસમાં પોતાની બાકીની ચાર મેચ રમવાની છે અને આ ચારેય મેચમાં કોહલી બ્રિગેડના પાવરની ચોક્કસ જ કસોટી થવાની છે.
ભારતીય ટીમ હવે 27 જૂને વેસ્ટઇન્ડિઝ સામે રમવા મેદાને ઉતરશે. આ ચાર મેચ એવો સમય છે, કે જેમાં પ્રતિભાની પરીક્ષાથી વધુ તેમાં ટકી રહેવાની તાકાત અને સ્થિ્રતાની કસોટી લેવાય છે. ભારતીય ટીમ માટે આગામી ચાર મેચમાં માત્ર તેમની પ્રતિભાની જ કસોટી નહીં લેવાય પણ સાથએ જ હરીફ ટીમને પછાડવાની તેની વ્યુહરચનાની પણ પરીક્ષા થશે.
27 જૂને વેસ્ટઇન્ડિઝ સામે રમ્યા પછી વિરાટ બ્રિગેડનો સામનો યજમાન ઇંગ્લેન્ડ સામે થશે ઇંગ્લેન્ડે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે પોતાની બાકી રહેલી ત્રણેય મેચ જીતવાની હોવાથી તેના માટે તમામ મેચ કરો યા મરો સમાન છે. તેથી આ મેચ સૌથી વધુ રોમાંચક બનવાની સાથે જ સ્પર્ધાત્મક પણ બની રહેવાની સંભાવના છે. આ સિવાયની જે બે મેચ છે તેમાં 2 જુલાઇએ બાંગ્લાદેશ સામે એક મેચ રમવાની છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને એવો હુંકાર કર્યો છે કે અમે વર્લ્ડ કપમાં ફરી ભારતને પછાડીશું. તેના આ દાવાને પગલે એ મેચ પણ રોમાંચક બની રહેશે. તે પછી શ્રીલંકા સામે ભારતીય ટીમે 6 જુલાઇએ રમવાનું છે. તેની સામે ભારતીય ટીમનું પલ્લુ આમ તો ભારે છે પણ શ્રીલંકનો કોઇ નવાજૂની કરે તેવી પણ શક્યતા છે.
વેસ્ટઇઇન્ડિઝ સામેની મેચને બાદ કરતાં બાકીની ત્રણ મેચમાં ભારતીય ટીમે ખાસ્સી મથામણ કરવી પડે તેવું લાગી રહ્યું છે. એવું એટલા માટે કે વેસ્ટઇન્ડિઝ સેમીની રેસમાંથી લગભગ આઉટ છે. જ્યારે ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જો પોતપોતાની બાકી રહેલી તમામ મેચ જીતે તો તેમને સેમી ફાઇનલમાં પ્રવેશવાની તક છે. આ સ્થિતિમાં તેઓ ભારતીય ટીમ સામેની મેચમાં પોતાની બધી તાકાત કામે લગાવશે, ત્યારે વિરાટ બ્રિગેડની તાકાતની ખરી કસોટી થશે એવું લાગી રહ્યું છે.