મુંબઇ : લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ખરાબ દોર માંથી પસાર થઇ રહેલ શ્રીલંકાની ટીમને નવો કેપ્ટન મળી ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ ઉપુલ થારંગા પાસેથી વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટન્સી પાછી લઇને કેપ્ટન્સીની કમાન સ્ટાર ઓલરાઉન્ડર થિસારા પરેરાને સોંપી દીધી છે. ઉપુલ તરંગાની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રમવામાં આવેલી વન-ડે સીરીઝમાં ભારતે શ્રીલંકાની ટીમનો 0-5થી વ્હાઇટ વોશ કર્યો હતો. સાથે જ શ્રીલંકા ઓક્ટોબરમાં જ પાકિસ્તાન સામે રમાયેલી વન-ડે સીરીઝમાં શ્રીલંકા 0-5થી સીરીઝ હારી હતી. પરેરાને કેપેટન્સી સોંપતાં પહેલાં પસંદગીકર્તાઓએ અનેક નામો પર વિચાર કર્યો હતો અને અનેક નામો પર ચર્ચા પણ થઇ હતી પરંતુ અંતે પરેરાને કેપ્ટન બનાવવામાં આવ્યો.
પરેરાએ અગાઉ યૂએઇ અને પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટી-20 સીરીઝમાં ટીમની કેપ્ટન્સીની જવાબદારી સંભાળી હતી. તે ટીમ ઇન્ડિયાના મુશ્કેલીભર્યા પડકાર માટે તૈયાર છે પરંતુ આ પ્રવાસ તેના માટે અગ્નિ પરીક્ષા સમાન છે.