ભારતીય ટીમના માજી કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ ટી-20ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટે હવે મહેન્દ્રક સિંહ ધોનીથી આગળ વિચારવાનો અને યુવાઓમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. આમ તો જોકે ઉપલબ્ધ વિકલ્પો અંગે ધણી ચર્ચા ચાલે છે અને ઋષભ પંત પોતાને મળેલી તકનો લાભ લઇ શક્યો નથી છતાં આવતા વર્ષે યોજાનારી વર્લ્ડ ટી-20 માટે ગાવસ્કરે પંતને પોતાની પ્રથમ પસદ ગણાવ્યો હતો.
ગાવસ્કરને જ્યારે એવું પુછાયું કે શું ધોનીને બાંગ્લાદેશ પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવો જોઇએ ત્યારે ગાવસ્કરે જવાબ આપ્યો હતો કે ના, આપણે આગળ જોવાની જરૂર છે. ઓછામાં ઓછી મારી ટીમમાં તો ધોની સામેલ નથી. જો તમે ટી-20 વર્લ્ડ કપ બાબતે વાત કરતાં હોવ તો હું ચોક્કસ જ પંતનું નામ વિચારીશ, જો પંત સારું ન કરી શકતો હોય તો બીજો સર્વશ્રેષ્ઠ વિકલ્પ સંજૂ સેમસન છે. મહાન બેટ્સમેને કહ્યું હતું કે જો ટી-20 વર્લ્ડ બાબતે વિચારવાનું હોય તો હું યુવાઓ બાબતે વિચારીશ.