ઉત્તરાખંડના ગઢવાલના ઉચ્ચ હિમાલયના વિસ્તારમાં આવેલ ચારધામ યાત્રાનુ સૌથી પ્રમુખ બદ્રીનાથ મંદિરના કપાટ આજરોજ સવારે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સવારે સાડા ચાર કલાકે કપાટ ખુલવાની સાથે ભક્તોની ભગવાનના દર્શન કરવા ભારે ભીડ જોવા મળી હતી.
છેલ્લા બે દિવસથી હજારો ભક્તો બાબા બદ્રીનાથના દર્શન કરવા પહોંચી ગયા છે. આ સાથે જ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલતાની સાથે ભક્તોએ બાબાના આશીર્વાદ લીધા હતા. મંદિરને 20 ક્વિન્ટલ ફુલોથી શણગારવામાં આવ્યું. દેશના અનેક વિસ્તારોમાંથી આવેલા હજારો શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.જો કે આજે ભગવાન બદ્રીનાથજીના નિર્વાણ દર્શન કરવામાં આવી રહ્યા છે.
કાળી શિલા પર ભગવાનના દર્શન શ્રૃંગાર વગર કરવામાં આવતા હોવાથી નિર્વાણ દર્શન કહેવામાં આવે છે. આજે બદ્રીનાથમાં વિશેષ પૂજા અર્ચના થતી નથી. આજે સાંજની આરતી બાદ એટલે કે મંગળવારથી રોજ વિશેષ પૂજા અર્ચના શરૂ થશે.