પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં રહેશે. બસોમાં કુલ ક્ષમતાના 50% મુસાફરો અને કારમાં ફકત 3 મુસાફરો જ સફર કરી શકશે. રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ તમામ પ્રતિબંધ શુક્રવારથી લાગૂ થઇ થઇ જશે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ કહ્યું કે પંજાબ અત્યારે ‘હેલ્થ ઇમરજન્સી’ના સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. રાજયમાં કોરોનાથી અત્યાર સુધી 920 લોકોના મોત થયા છે. દરેક મોતએ તેમને દુખ પહોંચાડે છે.
લોકોનો જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાની ગતિ જાળવા રાખવા માટે આ પ્રતિબંધ લાગૂ કરવા ખૂબ જરૂરી બની ગયા છે. તેમણે કહ્યું કે શુક્રવારથી પંજાબના તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં કુલ ક્ષમતાના 50 ટકા કર્મચારી જ કામ કરશે. બાકી 50% કર્મચારી પોતાના ઘરેથી કામ કરશે. સીએમએ નિર્દેશ આપ્યા છે કે તમામ અધિકારી સુનિશ્વિત કરશે કે પબ્લિક સાથે જોડાયેલા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરી દેવામાં આવે. જેથી લોકોને નાના-મોટા કામો માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા ન પડે. સાથે જ સરકારી કર્મચારી પણ સામાન્ય લોકોના સંપર્કમાં આવીને કોરોના સંક્રમિત ન થાય. સીએમએ કહ્યું કે કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમૃતસર, લુધિયાણા, જલંધર, પટિયાલા અને એસએએસ નગર (મોહાલી)માં વાહોના સંચાલન પર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જિલ્લામાં રસ્તા પર ભીડ ઓછી કરવા માટે દરરોજ 50% બિનજરૂરી દુકાનો ખોલવાની પરવાનગી નહી મળે. પંજાબમાં કોરોનાના કુલ કેસના 80% કેસ તે પાંચ જિલ્લામાં છે. તેમણે ડીજીપી દિનકર ગુપ્તાને નિર્દેશ આપ્યા છે કે લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારમાં કોવિડ પ્રોટોકોલને કડકાઇપૂર્વક લાગૂ કરી ભીડ એકઠી થતા રોકે. સાથે જ 31 ઓગસ્ટ સુધી કોઇપણ પ્રકારની રાજકીય ગતિવિધિઓ પર સંપૂર્ણપણે વિરામ લગાવવામાં આવે. સીએમ ડીજીપીને આ મહિના સુધી રાજયમાં તમામ પ્રદર્શનો અને સંમેલનો પર સખતાઇથી પ્રતિબંધ લગાવવાના નિર્દેશ આપ્યા. સીએમએ પોતાની પાર્ટી પંજાબ કોંગ્રેસને આગ્રહ કર્યો છે કે તે 31 ઓગસ્ટ સુધી પોતાની તમામ ગતિવિધિઓ રદ કરી દે. સીએમએ સ્વાસ્થ્ય વિભાગને કહ્યું છે કે અભિયાન ચલાવીને લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે જાગૃત કરે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો પહેલાંની માફક ફરીથી લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.