મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ને એક કરીયે ત્યાં માં જગદંબાનું પુર્ણ સ્વરૂપ નવદુર્ગા. એટલે કે આપણી કુળદેવી નું સ્વરૂપ પ્રગટ થાય. માં જગદંબાની આરાધના કરવાનું ઉત્તમ અને શ્રેષ્ઠ સમય એટલે માં જગદંબાના નવલાં નોરતાં એટલે ચૈત્ર નવરાત્રી.
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે
ચૈત્ર માસ એટલે શાલીવાહન સક ૧૯૪૩ પુર્ણ થઈ રહ્યું છે અને શાલીવાહન સક ૧૯૪૪ શુભકૃત સંવત્સર માં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો, ચૈત્ર સુદ એકમ એટલે પ્રજાપિતા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી, ચૈત્ર સુદ એકમ એટલે માં જગદંબાની આરાધના ના નવલાં નોરતાં એટલે કે ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ પ્રથમ દિવસ.
સનાતન હિન્દુ સંસ્કૃતિ માં વર્ષ દરમ્યાન ચાર નવરાત્રી નું મહત્વ બતિવેલ છે. એક શારદીય નવરાત્રી એટલે આસો મહિનાની નવરાત્રી બે ગુપ્ત નવરાત્રી અને આ ચૈત્ર નવરાત્રી.
નવરાત્રી’ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્કૃત ભાષામાં ‘નવરાત્રી’નો શબ્દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ’ એવો થાય છે. નવરાત્રીની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્તિના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
સમગ્ર વર્ષ દરમિયાન બે મહત્ત્વની ઋતુઓની એટલે કે ઉનાળા અને શિયાળાની શરૂઆતના સમયને આબોહવા તેમ જ ચંદ્રના પ્રભાવની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો સમયગાળો ગણવામાં આવે છે. મા શક્તિની આરાધના માટે આ બે સમયગાળાઓ ખૂબ જ પવિત્ર ગણાય છે. તહેવારની તારીખ ચાંદ્રવર્ષ પ્રમાણે ગણવામાં આવે છે. ‘દશહરા’ એટલે ‘દસ દિવસો.’ તેને ‘દશેરા’ના નામે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિનો નવ દિવસોનો તહેવાર અંતિમ દિવસ વિજ્યાદશમીની ઉજવણી સાથે કુલ દસ દિવસોનો તહેવાર બની જાય છે. આ દસેય દિવસો દરમિયાન મહિષાસુર ર્મિદની મા દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રી એટલે શક્તિ, આરાધના, સાધના, ઉપાસના, અને અનુષ્ઠાન કરવા માટેની શ્રેષ્ઠ નવરાત્રી.
આ વર્ષે ચૈત્ર નવરાત્રી માં એક પણ ક્ષય તિથિ ન હોવાથી સંપૂર્ણ નવરાત્રી માં જગદંબાના અનુષ્ઠાન માટે મળે છે.
ચૈત્ર સુદ એકમ એટલે નવરાત્રી નાં પ્રથમ દિવસે માં શૈલપુત્રી નું પૂજન કરવું જોઈએ.
શૈલપુત્રી થી લઈને માં નવદુર્ગા નું અદભુત મહત્વ રહેલું છે. નવરાત્રી દરમ્યાન કળશ સ્થાપના, ઘટ સ્થાપન, અખંડ દિવા અને જવારા વાવવા નું મહત્વ રહેલું છે.
આ ચૈત્ર નવરાત્રી દરમ્યાન આપણે ઘટ સ્થાપન કે જવારા પૂજા કરી માં ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. જાપ અને અનુષ્ઠાન પણ કરી શકીએ છીએ. દુર્ગા સપ્તશતિ કેહતા ચંડીપાઠ ના પાઠ કરી શકીએ છીએ.
આ નવરાત્રી દરમ્યાન આપણે કઈ નાં કરી શકાય તો બ્રાહ્મણ દ્વારા નવચંડી કે ચંડીપાઠ કરવવા જોઈએ આ પણ ના કરી શકાય તો એક નાનો યજ્ઞ પણ ઘરમાં કરાવવો જોઈએ.
ચૈત્ર નવરાત્રી માં લિમડા ના રસ નું સેવન કરવું જોઈએ. લિમડો હંમેશા કડવો હોય છે પરંતુ તેનો ગુણ કડવો નથી હોતો. લિમડા ના રસ નું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને કોઈ પણ પ્રકારના ફ્લુ એટલે કે તાવ આવતા નથી.
ઘટસ્થાપન માટે મુહૂર્ત
પંચાગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 01 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 11:53 કલાકે શરૂ થશે અને 02 એપ્રિલ, શનિવારે સવારે 11:58 કલાકે સમાપ્ત થશે. નવરાત્રીના પહેલા જ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022 સવારે 06:10થી 08:31 સુધી ઘટસ્થાપન મુહૂર્ત છે. આ સાથે અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50
એવી ધાર્મિક માન્યતા છે કે, દર વર્ષે નવરાત્રિના દિવસોમાં માતા કોઈને કોઈ વાહન પર સવાર થઈને ધરતી પર આવે છે. અને પરત ફરતી વખતે માતાનું વાહન અલગ હોય છે. ચૈત્ર નવરાત્રિમાં માતા ઘોડા પર સવાર થઈને આવશે. જેને ભાગ્યશાળી માનવામાં આવે છે. બીજી તરફ રવિવાર કે સોમવારથી નવરાત્રિ શરૂ થાય તો માતા હાથી પર સવાર થઈને આવે છે.
2 એપ્રિલ (પહેલો દિવસ) – મા શૈલપુત્રીની પૂજા
3 એપ્રિલ (બીજો દિવસ) – મા બ્રહ્મચારિણીની પૂજા
4 એપ્રિલ (ત્રીજો દિવસ) – મા ચંદ્રઘંટાની પૂજા
5 એપ્રિલ (ચોથો દિવસ) – મા કુષ્માંડાની પૂજા
6 એપ્રિલ (પાંચમો દિવસ) – મા સ્કંદમાતાની પૂજા
7 એપ્રિલ (છઠ્ઠો દિવસ) – મા કાત્યાયનીની પૂજા
8 એપ્રિલ (સાતમો દિવસ) – મા કાલરાત્રિની પૂજા
9 એપ્રિલ (આઠમો દિવસ) – મા મહાગૌરીની પૂજા
10 એપ્રિલ (નવમો દિવસ) – માતા સિદ્ધિદાત્રીની પૂજા
11 એપ્રિલ (દસમો દિવસ) – નવરાત્રી પારણાં