ગાંધીનગર
ભાજપની સૌથી મોટી ખૂબી એ રહી છે કે આ પક્ષ પાસે વક્તૃત્વ કળા ધરાવતા પ્રવક્તાઓની એક અલગ ફોજ છે. અને કેમ ન હોય? સંઘની શાખાઓમાં દરરોજ બૌદ્ધિક હોય છે. નાનપણથી જ વક્તૃત્વકળાને ખીલવવાની પૂરતી તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈથી લઈને પ્રદેશ સ્તરના તમામ આગેવાનો, કાર્યકરો અને પ્રવક્તાઓ કરતા હોય છે. મુદ્દો કોઈ પણ હોય, વિરુદ્ધમાં જતો હોય કે તરફેણમાં જતો હોય, ભાજપના પ્રવક્તાઓ ગાઈ વગાડીને, ઢોલ પીટી પીટીને ન્યુઝ ચેનલો ઉપર જનતાના કાન પકાવી દેતા હોય છે. પરંતુ આજે એવું પૂછવાનું મન થાય છે કે ”ઇતના સન્નાટા કયો હે ભાઈ…?” ક્યાં ગયા ભાજપના પ્રખર વક્તાઓ, પ્રવક્તાઓ?
સત્ય ન્યુઝ તેમજ ગુજરાતના બીજા મીડિયા હાઉસ તરફથી આજે ભાજપના પ્રવક્તાઓનો સંપર્ક કરીને પેનલ ડિસ્કશન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે કૃષિ બિલ સુધારાઓ પાછા ખેંચાયા એ મુદ્દે તમામ પ્રવક્તાઓને મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. લોકસભાના સાંસદો અને કેબિનેટ મંત્રીઓ માંથી કેટલાક ગણતરીના લોકોને જ કૃષિ બિલ સુધારાને પાછા ખેંચવાના મુદ્દે પ્રતિક્રિયા આપવાની છૂટ અપાઈ છે.
ભાજપની આ સગવડિયાવાદ પ્રકારની વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ મીડિયા અને જન સામાન્યમાં ટીકાનો વિષય બની ગઈ છે.