[highlight]શંકરસિંહ વાઘેલા તોડફોડની જૂની અને જાણીતી રાજરમત રમશે?[/highlight]
સામાન્ય રીતે રાજય સભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના બે ઉમેદવારોની જીત સ્પષ્ટ જણાય છે. જો કોંગ્રેસમાંથી કોઇ બળવાખોર ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઇ પટેલને કમસેકમ ૪૬ મતો જીત માટે મેળવવા આવશ્યક છે.
ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ મતદારો છે. તે પૈકી ભાજપનું સંખ્યાબળ ૧૨૧ જયારે કોંગ્રેસ પાસે ૫૭ ધારાસભ્યો ઉપરાંત એનસીપીના ૨ ધારાસભ્યો ટેકો આપે તેવી શક્યતા છે. જયારે બે અપક્ષ ધારાસભ્યો ભાજપને મત આપે એવી શક્યતા જણાય છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના પગલે ભાજપને ૧૩૩ અને કોંગ્રેસને ૪૭ મતો મળ્યા હતાં. જો ભાજપ પોતાના બે ઉમેદવારને ૪૬-૪૬ મત પ્રથમ પ્રેફરન્સના ફાળવે તો કુલ ૯૨ મતે બન્ને ઉમેદવારો ચૂંટણી જીતી જાય અને ભાજપ પાસે ૪૧ મતો વધારાના રહે. આ સંજોગામાં જો શંકરસિંહ વાદ્યેલાનું બળવાખોર જૂથ કોંગ્રેસી છાવણીમાં ગાબડુ પાડે તો કોંગ્રેસ માટે કફોડી સ્થિતિ થઇ શકે. ટૂંકમાં એહમદભાઇને સલામત રીતે જીતવા કમસેકમ ૪૬ મતો મેળવવા જરૂરી છે.
ગુજરાતમાં ભાજપ લોકસભામાં ૨૬માંથી ૨૬ જયારે રાજયસભામાં ૧૧માંથી ૯ બેઠકો ધરાવે છે.એહમદભાઈ ઉપરાંત મધુસૂદન મિષાી માત્ર બેજ સાંસદ રાજયસભામાં છે ત્યારે આ બેઠક જીતવા એહમદભાઈ એડીથી માંડીને ચોટીનું પૂરે પૂરું જોર લગાવશે જયારે સામે પક્ષે અમિતભાઈથી માંડીને શંકરસિંહ વાઘેલા જૂનો રાજકીય સ્કોર સેટલ કરવા એહમદભાઈને હંફાવવાની પૂરી કોશિશ કરશે.