કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 42 વધુ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે ગઈકાલે જ કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC) એ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર વિચાર કર્યો અને આજે બીજી યાદી બહાર પાડી. કોંગ્રેસે તાજેતરમાં કર્ણાટક ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયા પણ પ્રથમ યાદીમાં સામેલ છે, તેઓ વરુણાથી ચૂંટણી લડશે.
ગઈકાલે, પાર્ટીના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ સીઈસીની બેઠક બાદ કહ્યું હતું કે, “ઘણી બેઠકો માટે ઉમેદવારોના નામ પર સર્વસંમતિ સધાઈ છે. કાલે યાદી જાહેર કરવામાં આવશે.” સીઈસીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.
બીજી યાદીમાં સામેલ છે આ નામો
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, કિત્તુરથી બાલાસાહેબ પાટીલ, બદામીથી ભીમસેન ચિમનકટ્ટી, અફઝલપુરથી એમવાય પાટીલ, ગુલબર્ગ દક્ષિણથી અલ્લામ્માપ્રભુ પાટીલ, ગંગાવતીથી ઈકબાલ અન્સારીને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 42 નામ છે, જોકે મેલુકોટ વિધાનસભા સીટ સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુટ્ટનૈયા માટે છોડી દેવામાં આવી છે. 24 માર્ચે કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.
કિચ્ચા સુદીપના ભાજપને સમર્થન પર કોંગ્રેસે શું કહ્યું?
ગઈ કાલે, સુરજેવાલાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા બદલ ફિલ્મ અભિનેતા કિચ્ચા સુદીપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “કર્ણાટકની ચૂંટણી એ ગંભીર મુદ્દો છે, કોઈ મનોરંજન અને ફિલ્મો નથી. હવે કર્ણાટકમાં ભાજપને કોઈ બચાવી શકશે નહીં.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેના નેતાઓ કર્ણાટકમાં ચૂંટણી લડવા તૈયાર નથી થઈ રહ્યા.