અમદાવાદ,
મેટ્રોપોલિટન કોર્ટે પોતાના એક આદેશમાં જણાવ્યું છે કે, લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ કોઈનું વાહન જપ્ત ના કરી શકે. આ આદેશ સાથે કોર્ટે દરિયાપુર પોલીસ દ્વારા જપ્ત કરાયેલી રિક્ષાને છોડી દેવા પણ આદેશ આપ્યો છે. કોર્ટમાં સરકાર લોકડાઉનના નિયમોમાં વાહન જપ્ત કરવા અંગેની કોઈ જાેગવાઈ સરકાર કોર્ટમાં ના બતાવી શકતા આ આદેશ અપાયો હતો.
આ કેસમાં ૨૯ માર્ચ ૨૦૨૦ના રોજ ઝાકિર શેખ નામના એક રિક્ષાચાલકને પોલીસે પ્રેમદરવાજા પાસે અટકાવ્યો હતો. તેની સામે લોકડાઉનનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી પોલીસે તેની રિક્ષા મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ જપ્ત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે આ પ્રકારે લોકડાઉનમાં હજારો વાહનો જપ્ત કર્યા હતા. જાેકે, ત્યારબાદ પોલીસ સ્ટેશનોમાં જગ્યા ખૂટી પડતાં વાહનો છોડવાનું શરુ કરવામાં આવ્યું હતું.
ઝાકીર શેખની રિક્ષા પણ ગયા વર્ષથી પોલીસ સ્ટેશનમાં જ પડી હતી. આ અંગેનો કેસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.ડી. મોઢની કોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો. કોર્ટે સરકારી વકીલને સવાલ કર્યો હતો કે પોલીસ કલમ ૨૦૭ ક્યારે લગાવી શકે? જવાબમાં સરકારી વકીલ દ્વારા મોટર વ્હીકલ એક્ટની વિવિધ જાેગવાઈ રજૂ કરવામાં આવી હતી. જાેકે, કલમ ૨૦૭ હેઠળ વાહન ક્યારે જપ્ત કરી શકાય તેનો સ્પષ્ટ જવાબ સરકારી વકીલ નહોતા આપી શક્યા. કોર્ટે જણાવ્યું હતું કે, કલમ ૧૯૨ (૫) હેઠળ સરકારી અધિકારી નિયમનો ભંગ કરનારા પાસેથી માંડવાળ પેટે દંડ લઈ શકે. જાે ગુનો માંડવાળ યોગ્ય ના હોય તો અધિકારી આરસી બુક જપ્ત કરીને વાહનના માલિકને તેની રિસિપ્ટ આપી શકે. કોર્ટે પોલીસને પણ સવાલ કર્યો હતો કે શું લોકડાઉનનો ભંગ કરનારાનું વાહન જપ્ત કરી શકાય? પરંતુ પોલીસ પણ તેનો જવાબ નહોતી આપી શકી. દરિયાપુર પોલીસ તેના માટે કોઈ દસ્તાવેજ કે રેકોર્ડ પણ રજૂ નહોતી કરી શકી.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.