મુંબઇઃ કોરોનાનો ફટકો તો હજુ ખેડૂતો સહન કરી જ રહ્યા છે ત્યાં વધારમાં ખાતરના અસહય ભાવ વધારો ઝીંકાતા દેશના ખેડૂતોને વર્ષે 20 હજાર કરોડ રૃપિયાનો, ગુજરાતના ખેડૂતોને 1200 કરોડનો અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 500 કરોડનો વધારોનો બોજો પડનાર છે. જેને પગલે ખેડૂતોએ કેન્દ્રીય નાણાંમંત્રી પાસે ખેડૂતો માટે રૃા.20 હજાર કરોડનું પેકેજ આપવા માંગણી કરી છે.
કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર આવ્યા હતા કે અગાઉ ઇફકો કંપની એ ખાતરના ભાવ વધારી દીધા બાદ તાજેતરમાં જ અન્ય કંપનીઓએ પણ ખાતરના ભાવમાં રૃા.700 સુધીનો વધારો કર્યો છે. જેથી ખેડૂતોની કમર તૂટી જશે. કોટન એસોસીએશન અને ખેડૂત અગ્રણી જયેશ પટેલ (દેલાડ) કેન્દ્રય નાણામંત્રીને રજુઆત કરી હતી કે છેલ્લા એક વર્ષમાં કોરોનાની માઠી અસર ખેડૂતોને સવિશેષ થઇ છે.
ભાવ વધારાના કારણે વર્ષે 20,000 કરોડથી પણ વધુ રૃપિયાનું આર્થિક ભારણ દેશના ખેડૂતોના માથે આવશે. ગુજરાતની વાત કરીએ તો આ વધારના કારણે 1200 કરોડ રૃપિયા ખિસ્સામાંથી વધારાના ખર્ચવા પડશે. કોરોના ના દર્દીને જેમ ઓકિસજન મળતા જીવનદાન મળી રહે છે તેવી જ રીતે આપણા દેશના અન્નદાતા વોરીયર્સ પર આવી પડેલી આ માનવસર્જિત આફતમાં રૃા.20 હજાર કરોડનું ખાસ પેકેજ જાહેર થાય તો ખેડુતો માટે ઓકિસજન સિલિન્ડર માફક બની રહેશે.