ગાંધીનગર
આપણે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મોદી અને ગાંધી વચ્ચે કેટલી સામ્યતાઓ છે? જેના ભાગ 1લા માં બન્ને ચુસ્ત હિન્દૂ અને ભયાનક જિદ્દી હોવાની સામ્યતા વિષે ઉદાહરણ સાથે આપણા સમક્ષ વાત મૂકી હતી. હવે આજે આ જ શ્રેણીમાં ભાગ 2જા માં એક એવી સામ્યતા વિષે વાત કરવી છે જે એક એવી આવડત, કલા અને સમજણ છે જે ગાંધી અને મોદી બન્નેમાં એમના કન્ટેમ્પરરી કરતા સવિશેષ અને ઠાંસી ઠાંસીને ભરેલી છે. એ છે મીડિયા મેનેજમેન્ટ ની કલા.
ગાંધીનું આજથી સવાસો વર્ષો પહેલાનું મીડિયા મેનેજમેન્ટ :
મહાત્મા ગાંધીને મહાત્માની ઉપાધિ ટાગોર દ્વારા મળી એના અનેક વર્ષો પહેલા ગાંધી 1893 થી 1914ની સાલ સુધી એટલેકે 21 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. જ્યાં એમણે ત્યાંની ગોરી હકુમત સામે ગિરમીટ પ્રથાની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો હતો. આ સત્યાગ્રહ ખરા અર્થમાં કેટલો સફળ ગયો એ મુદ્દે અનેક વાદ-વિવાદ આજે પણ ચાલે છે. પરંતુ આ 21 વર્ષ દરમિયાન ગાંધીએ પોતાના વિચારો, વાત અને પોતાની છબીને લોકો સુધી પહોંચાડવા શું કર્યું? તો જવાબ છે કે ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં અખબાર શરુ કર્યું. જેનું નામ હતું ‘ઇન્ડિયન ઓપિનિયન’. આ અખબાર ગાંધીએ શરુ કર્યું હતું 4થી જૂને 1903ની સાલમાં. દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રોવિન્સમાં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના સહકારથી આ અખબાર શરુ કરાયું હતું. જેમાં દ. આફ્રિકામાં એશિયાથી આવીને વસેલા લોકો સાથે રંગભેદના નામે થઇ રહેલા અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની નેમ રાખવામાં આવી હતી. આ અખબાર ગુજરાતી, હિન્દી, તમિલ અને અંગ્રેજી એમ ચાર ભાષામાં નીકળતું હતું. આ અખબાર 58 વર્ષ સુધી ટક્યું હતું. આ અને આ ઉપરાંત ગાંધીએ શરુ કરેલા અન્ય ત્રણ અખબારો જેની વાત આગળ ઉપર કરીશું, એ તમામની એક નીતિ સ્પષ્ટ હતી કે જાહેરખબર લેવામાં નહિ આવે. ઇન્ડિયન ઓપિનિયનો સરેરાશ ફેલાવો 2 હજાર નકલોનો હતો. એનો એક દિવસનો સૌથી વધુ નોંધાયેલો ફેલાવો 3500 નકલો નો હતો. એમ છતાં ગાંધી આ અખબાર દ્વારા દ. આફ્રિકા અને ત્યાં બેઠા બેઠા ભારતમાં પોતાના કાર્યો, વિચારો અને પોતાની વ્યક્તિગત છબી ને ભારતના તત્કાલીન આગેવાનો અને દેશના લોકો સુધી પોતાની યોજના અનુરૂપ પહોંચાડવામાં સફળ રહ્યા હતા.
ગાંધી 1915ની સાલમાં ભારતમાં પધાર્યા. આપણે અહીંયા ફક્ત એમના મીડિયા મેનેજમેન્ટના ગુણની વાત કરીવાના છીએ એટલે અન્ય બાબતો તરફ ફંટાશુ નહિ. ભારતમાં આવીને ગાંધીએ ત્રણ અખબારો શરુ કર્યા. યંગ ઇન્ડિયા (1916), હરિજન (1933) અને નવજીવન (1919). જેમાંથી નવજીવન આજે પણ એક ટ્રસ્ટ રૂપે જીવંત છે. અહીં એ વાત ઉલ્લેખનીય છે કે યંગ ઇન્ડિયા અને નવજીવન જે આમ તો સાપ્તાહિક હતા, આ બંનેનો ફેલાવો સરેરાશ 8 હજાર નકલોની આસપાસ જ રહ્યો હતો. જાણીતા નવલકથાકાર અને વકીલ ક. મા. મુનશીએ 1948માં લખેલા એક પુસ્તક ”ગાંધી: ધ માસ્ટર.” માં એમ કહીને ગાંધીને આદરાંજલી આપી હતી કે દુનિયામાં એવા ખુબ ઓછા પબ્લિકેશન હશે જેનો ફેલાવો નવજીવન જેટલો એટલેકે સાવ ઓછો હોય તેમ છતાં જેનો પ્રભાવ નવજીવન જેટલો અસરકારક હોય. મુનશીની આ વાત મુજબ યંગ ઇન્ડિયા, નવજીવન કે હરિજન જેવા અખબાર/મેગેઝીન નો ફેલાવો સામાન્ય હતો એમ છતાં ગાંધી એના દ્વારા પોતાની વાત ને વિચારને રજુ કરીને ઓછા ફેલાવામાં થી પણ વ્યાપક રજૂઆત કરવામાં સફળ ગયા હતા. જે દર્શાવે છે કે ગાંધી આજથી સો – સવાસો વર્ષો પહેલા પણ મીડિયાના મહત્વને કેટલી સારી રીતે સમજતા હતા અને એનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં કેવી રીતે સફળ ગયા હતા.
હવે કરીયે મોદીની મીડિયા સેન્સ અને મેનેજમેન્ટની કળાની વાત:
મોદી 1990ના દાયકામાં ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અને ત્યાર બાદ રાષ્ટ્રીય મહામંત્રી હતા ત્યારથી એમણે મીડિયાને પોતાની સાથે કેમ રાખવું એ કળા સિદ્ધહસ્ત કરી લીધી હતી એમ કહીયે તો ખોટું નથી. કેશુભાઈની મુખ્યમંત્રી તરીકેની બીજી ઇનિંગ્સમાં 1998થી 2001ની સાલની વચ્ચે મોદીને ગુજરાત બહાર કરવામાં આવ્યા હતા. મોદી દિલ્હી હતા. એક ખુબ જ વરિષ્ઠ પત્રકાર પાસેથી જાણવા મળેલી વાત છે કે કેશુભાઈ અને સંજય જોશીએ જડબેસલાક વ્યવસ્થા કરી હતી કે જેથી મોદી દ્વારા ગુજરાતના અખબારોને મોકલવામાં આવતી પ્રેસ નોટો છપાય જ નહિ. આ વરિષ્ઠ પત્રકાર એ સમયે એક ગુજરાતી ન્યુઝ એજન્સીના તંત્રી હતા. આ એજન્સી એ સમયે રાજ્યના 100 થી વધુ નાના-મોટા અખબારોને સમાચારો એકદમ તૈયાર કરીને મોકલી આપતી હતી. આ વરિષ્ઠ પત્રકાર એ સમયે મોદીના મિત્ર હતા અને મિત્ર દાવે મોદીને મદદ કરવાના હેતુ થી મોદીની પ્રેસ નોટોને સમાચાર રૂપે તૈયાર કરીને એમના ગ્રાહક અખબારોમાં મોકલી આપતા. આમ કરીને મોદી પોતાની વાત લોકો સુધી પહોંચાડતા.
2001ની સાલમાં મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 2002ના ફેબ્રુઆરીમાં ગોધરા કાંડ અને પછી રમખાણો ફાટી નીકળ્યા. મોદીની છબી નેશનલ મીડિયામાં ભયાનક રીતે ખરડાઈ પરંતુ એ નકારાત્મક પબ્લિસિટીનો મોદીએ બાખુબી એવો ઉપયોગ કર્યો કે ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા સતત વધતી ગઈ. એક રાજ્યના મુખ્યમંત્રી થઈને ક્યારેક પાકિસ્તાનના પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફને લલકારવા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન મોરચો ખોલી દેવો. સોરાબુદ્દીન, ઇશરત જહાં વગેરે જેવા એન્કાઉન્ટરોથી થતી ટીકાઓને મીડિયાના જ માધ્યમથી, પોતાની પ્રેઝન્સ ઓફ માઈન્ડ ની આવડત થી ઉલટો ફાયદો ઉઠાવવો જેવા અનેક ઉદાહરણો મોદીની મીડિયા સેન્સ અને મેનેજ કરવાની આવડત ઉપર પ્રકાશ પાડે છે.
એક એવી છબી ઉભી કરવી કે જે મોદીને પોતાના કન્ટેમ્પરરી થી વધારે વિઝનરી, ટેક્નોસાવી, મોડર્ન, લિબરલ હોવાની સાથે સાથે કટ્ટર હિન્દૂ તરીકે લોકોમાં પ્રસ્થાપિત કરે. ત્યાર બાદ વિકાસ પુરુષ ના પર્યાયવાચી સુધીની સફર એમના મીડિયા મેનેજમેન્ટ ના માસ્ટર માઈન્ડ હોવાનું પૂરતી સાબિતી છે. 2009ની સાલના વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વર્લ્ડ વાઈડ માર્કેટિંગ માટે એપ્કો વર્લ્ડ વાઈડ જેવી અમેરિકાની લોબિંગ એજન્સીને કામે લગાડીને 2009 થી 2013 સુધીના ત્રણ સમિટમાં દુનિયાના જાયન્ટ ઈકોનોમી ધરાવતા દેશોના ચાવીરૂપ જગ્યાએ બેઠેલા મહાનુભાવો તેમજ કંપનીઓના ગુજરાતમાં રોકાણ કરવા માટેના કરારો કરાવી ને મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માંથી અડવાણી જેવા વરિષ્ઠની હરીફાઈ ખતમ કરી નાખી અને વિકાસ પુરુષનો તાજ પહેરીને કોંગ્રેસને સાફ કરી નાખી. છેલ્લા સાડા સાત વર્ષમાં મોદીએ કરેલી વૈશ્વિક મુસાફરીઓ અને એની થયેલી ટીકાઓ, કોરોના કાળ દરમિયાન લોક ડાઉન થી લઈને મહારામારીથી દેશની જનતાના સ્વાસ્થ્ય પાર પડેલી અત્યંત ખરાબ અસર, દેશની આર્થિક બદહાલી, ખેડૂત આંદોલન જેવા અનેક મામલે જો બીજો કોઈ લીડર હોત તો કદાચ ન ટકી શક્યો હોત પણ આ તો મીડિયા માસ્ટર મોદી છે. દેશના મેઈન સ્ટ્રીમ મીડિયાને મોદીમાં કોઈ કમી દેખાતી નથી એ પણ મેનેજમેન્ટનો કમાલ છે.
તો દોસ્તો, આપણે જોયું કે ગાંધી અને મોદી, આ બન્નેની મીડિયા સેન્સ કમાલ અને મીડિયા મેનેજમેન્ટ લાજવાબ છે. વાસ્તવિકતા ગમે તે હોય, લોકોને એ જ દેખાય જે આ બન્ને ઇચ્છતા હોય. લોકો એજ સાંભળે જે આ બન્ને ઇચ્છતા હોય. અને એટલેજ બન્ને મહાનુભાવોમાં અનેક ખામીઓ અને ઉણપો હોવા છતાં સ્થિતિ એ છે કે એમના સમર્થકો, ભક્તો, ચાહનારાઓ એમના વિષે એક અક્ષર પણ સાંભળવા તૈયાર હોતા નથી.
હવે આવતીકાલે આપણે ગાંધી – મોદી: કેટલી સામ્યતા? ભાગ 3 માં જોઈશું કે નિષ્ફળતા મેળવી હોય છતાં એક સફળ સુકાનીના આત્મવિશ્વાસથી આગળ વધવાના મુદ્દે ગાંધી – મોદી માં કેટલી સામ્યતા જોવા મળે છે.