અમદાવાદઃ ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1278 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 1266 દર્દીઓ સાજા થયા છે. તો આ જીવલેણ વાયરસથી વધુ 10 દર્દીના મોત થયા છે. હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3541 પર પહોંચી ગયો છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો કુલ 48,58,505 થયો છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,99,101 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,98,694 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 407 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં કોરોના સંક્રમિત 16,487 એક્ટિવ કેસ છે જેમાંથી 81 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આજે રાજ્યમાં કોરોનાના સંક્રમણથી 10 દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2 દર્દીના મોત થયા છે. આજના નવા મરણ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણનો કુલ મૃત્યુઆંક 3541 પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે અમદાવાદની કોવીડ હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે સાજા થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરવામાં રસ ન દાખવતા તબીબો ચિંતામાં મુકાયા છે. જેથી સાજા થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે.
રાજ્યમાં કોરોના વાયરસની અત્યાર સુધીની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 1,47,951
- કુલ એક્ટિવ કેસઃ 16,487
- કુલ મૃત્યુઆંકઃ 3541
- સાજા થયેલા દર્દીઓઃ 1,27,923
- આજે થયેલા કોરોના ટેસ્ટઃ 52,465
- કુલ કોરોના ટેસ્ટઃ 48,58,505
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 5,99,101