ગાંધીનગર – ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી દારૂબંધીનો અમલ કરાવવામાં આવે છે પરંતુ બીજા રાજ્યોની સરખામણીએ રાજ્યમાં દારૂ વધારે પિવાય છે અને વધારે વેચાય છે. રાજ્યના સરહદી રાજ્યો તરફથી ગુજરાતમાં ગેરકાયદે દારૂ ઘૂસી રહ્યો છે. આ સંજોગોમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક વિવાદ છેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાંથી નકલી દારૂબંધી ઉઠાવી લેવી જોઇએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનીશ તો દારૂબંધી ઉઠાવી લઇશ. તેમના આ બયાનના તીવ્ર પડઘા પડ્યા છે. રાજ્યમાં 67000 લોકોનું એક જૂથ છે જેમણે દારૂબંધી ઉઠાવી લેવા અંગેની એક ઓનલાઇન પિટીશન પર સહીઓ કરી છે. તેઓ શંકરસિંહ વાઘેલાને ખુલ્લું સમર્થન આપી રહ્યાં છે.
પિટીશન કરનારા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધીના નામે ગાંધીજીનું નામ ખરાબ થઇ રહ્યું છે. રાજ્યની દારૂબંધી એક ભ્રમ છે. આમ પણ ગુજરાતમાં કાયદેસર રીતે 60000 લોકો દારૂ પી રહ્યાં છે, કારણ કે સરકારે તેમને હેલ્થ પરમીટ આપેલી છે. બીજા લોકો ગેરકાયદે પીવે છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે ગુજરાતમાં ગાંધીના નામે જે કહેવામાં આવે છે તે નર્યું જૂઠ છે. આ ભ્રમને તોડવો જોઇએ. જે લોકો દારૂ પીવા માગે છે તેમને સ્વતંત્ર રીતે અનુમતિ આપવી જોઇએ. 21 વર્ષની ઉંમર પછી તમામને દારૂ ખરીદવાની અનુમતિ આપવી જોઇએ.
શંકરસિંહે ફરીથી કહ્યું કે દારૂબંધી હોવાથી ગુજરાતમાં શાંતિ છે તેવા દાવા થાય છે પરંતુ મુંબઇ અને ગોવામાં દારૂ મળે છે અને લોકો પિવે છે છતાં ગુજરાત કરતાં ઓછા ગુનાઓ ત્યાં નોંધાય છે. ગુજરાતમાં લોકોના મોત લઠ્ઠાથી થાય છે. જો છૂટ આપવામાં આવે તો લઠ્ઠો બને જ નહીં.
વેટ ગુજરાત વેબસાઈટ પર ઓનલાઇન પિટીશનમાં અત્યાર સુધીમાં 66977 લોકોએ સહીઓ કરી છે અને માગણી કરી છે કે ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઇએ. આ સાથે એવી માગણી પણ કરી છે કે 21 વર્ષની વ્યક્તિને દુકાન પરથી દારૂ મળવો જોઇએ.