ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુપ્તચરોના અહેવાલ મુજબ ભાજપને ૧૮૨ પૈકી માત્ર ૮૦ થી ૮૫ બેઠકો જ મળે તેવી સંભાવના દર્શાવ્યાનું જાણવા મળે છે. આઈ.બી. અથવા તેના જેવુ નેટવર્ક ધરાવતી અન્ય કોઈ સંસ્થા દ્વારા પ્રાથમિક સર્વેના આધારે આ પ્રકારનો અહેવાલ અપાયાનું ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે ભાજપના આંતરિક સર્વે મુજબ ૧૧૨ બેઠકો મળે તેવું તારણ નીકળ્યુ છે. ૧૫૦ બેઠકો એ માત્ર રાજકીય દાવો છે. કાર્યકરોમાં જુસ્સો વધારવાનો કીમીયો છે તેવુ અત્યારની દ્રષ્ટિએ દેખાય છે. મતદાનને હજુ પાંચેક મહિનાની વાર છે ત્યાં સુધીમાં ગમે તેવા ફેરફારો થઈ શકે છે.
ભાજપની સ્થિતિ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવા જેવી ન હોવાનું સામે આવી જતા કોંગ્રેસમાં મોટા ઓપરેશન કરીને ભાજપને મજબુત દેખાડવાની વ્યુહરચના અમલમાં મુકવામાં આવી છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો ભાજપ માટે મોટો પડકાર સર્જી શકે છે.