કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફરી એકવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમના પર દેશની લોકશાહી સાથે રમવાનો આરોપ લગાવ્યો છે. સિંધિયાએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ ન્યાયતંત્ર પર દબાણ અને ધમકીની વિચારધારા સાથે કામ કર્યું છે. તેમણે પોતાની અંગત કાનૂની લડાઈને લોકશાહીની કાનૂની લડાઈ તરીકે પાર પાડવાની કોશિશ કરી છે, તેનાથી એક વાત સ્થાપિત થઈ ચુકી છે કે કોંગ્રેસ પક્ષે આ દેશમાં લોકશાહી સાથે રમત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.” ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને અનેક આક્ષેપો કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધી પર દેશના ઓબીસી સમુદાયનું અપમાન કરવાનો અને કોર્ટ પર દબાણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ વિચારધારા બાકી નથી. કોંગ્રેસ પાર્ટીની એક જ વિચારધારા છે અને તે છે દેશદ્રોહીની વિચારધારા. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર દેશ વિરુદ્ધ કામ કરવાનો અને સંસદ, લોકશાહીના મંદિરને ચાલવા ન દેવાનો આરોપ લગાવતા સિંધિયાએ કહ્યું કે માફી માંગવાથી વ્યક્તિ નાની નથી થઈ જતી, પરંતુ અહીં માફી માંગવાને બદલે વ્યક્તિગત કાનૂની લડાઈ લોકશાહીની કાનૂની લડાઈમાં ફેરવાઈ રહી છે.
‘દેશની જનતાએ ઘણી વખત જવાબ આપ્યો છે’
જામીન માટે મુખ્યમંત્રીઓ અને નેતાઓની ફોજ સાથે જવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરતા સિંધિયાએ કહ્યું કે આ રાહુલ ગાંધી અને કોંગ્રેસના કોર્ટ પર દબાણ અને ધમકી આપવાની વિચારધારા દર્શાવે છે. તેમણે કહ્યું કે દેશ કોંગ્રેસની આ વિચારધારાને ઓળખી ચુક્યો છે અને દેશની જનતાએ એક વાર નહીં પરંતુ ઘણી વખત તેનો જવાબ આપ્યો છે.
‘રાહુલ ગાંધીને ખાસ ટ્રીટમેન્ટ આપી રહી છે કોંગ્રેસ’
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગૃહમાં કોંગ્રેસના ઉપનેતાના નિવેદનની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસ રાહુલ ગાંધીને વિશેષ ટ્રીટમેન્ટ આપી રહી છે, કેટલાક લોકો કોંગ્રેસ પાર્ટી માટે ‘ફર્સ્ટ ક્લાસ સિટિઝન’ છે અને અમે અને તમે ‘થર્ડ ક્લાસ સિટિઝન’ છીએ. સિંધિયાએ વધુમાં કહ્યું કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હોય, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર છેલ્લા 10 વર્ષમાં ઘણા લોકો સાથે આવું બન્યું છે.
રાહુલ ગાંધીને તેમના નિવેદનની યાદ અપાવી
તેમણે રાહુલ ગાંધીને યાદ અપાવતા કહ્યું કે 2013માં મનમોહન સિંહની સરકાર વખતે જ્યારે તત્કાલિન કાયદા મંત્રી કપિલ સિબ્બલ આ અંગે વટહુકમ લાવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ પોતે કહ્યું હતું કે આ વટહુકમને ફાડીને કચરા ટોપલીમાં ફેંકી દેવો જોઈએ, તો આજે આ હિપોક્રેસી કેમ બતાવવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ.
રાહુલ ગાંધીને મળી સાચું બોલવાની સજા
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ પર દબાણ નથી કરતી. હું એમ પણ નથી કહેવા માંગતો કે સરકાર દબાણ કરી રહી છે, પરંતુ એક ઉદાહરણ છે કે જે વ્યક્તિને 3 વર્ષની સજા થાય છે છતાં તેનું સભ્યપદ રદ નથી કરવામાં આવતું અને એક વ્યક્તિ (રાહુલ ગાંધી) જે સાચું બોલ્યા તેનું સભ્યપદ રદ કરી દેવામાં આવે છે.”