મુંબઇઃ કોરાના કાળમા ટ્રેનમાં મુસાફરી કરવી ઘણી મુશ્કેલ બની ગઇ છે. હવે ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોએ ઘરેથી ભોજન સાથે લઇને જવુ પડે તેવી નોબત આવી છે કારણ કે, રેલ્વે મંત્રાલયે તેના કેટરિંગ બિઝનેસ, ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ને તમામ હાલની મોબાઈલ કેટરિંગ કરારો રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રેલવે મંત્રાલયે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે, આઈઆરસીટીસીને મોબાઇલ કેટરિંગ માટે આવા તમામ કરાર રદ કરવાનું કહેવામાં આવ્યું છે, જે મુસાફરોને બેઝ કિચનમાં તૈયાર કરેલા ખોરાક પૂરા પાડવામાં સંબંધિત છે. મંત્રાલયે કહ્યું કે, નિર્દેશના પ્રભાવનું આકાલન કરવામાં આવી રહ્યું છે.
મંત્રાલયે વધુમાં કહ્યું કે આઇઆરસીટીને પણ કોરોના રોગચાળાને કારણે સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને આ બાબતને અપવાદરૂપે લેવાની સૂચના આપવામાં આવી છે અને તેને કોન્ટ્રાક્ટરનો દોષ ન ગણવો. એટલા માટે કેટરિંગ સર્વિસ ઉપલબ્ધ નહીં કરવા માટે કોઈ પણ દંડ પણ ન લગાવવામાં આવે. અને બાકીનો હિસાબ ચુકતે કરી સિક્યોરિટી ડિપોઝીટ અને એડવાન્સ લાઈસન્સ ફી પરત કરી દેવામાં આવે.
એક અહેવાલ મુજબ, ભારતીય રેલ્વેનું આ નિવેદન ભારતીય રેલ્વે મોબાઇલ કેટરર્સ એસોસિએશન (આઈસીઆરએમસીએ) ના સભ્યોએ 19 જાન્યુઆરી 2021 ના રોજ મદ્રાસ હાઈકોર્ટની એક અરજીમાં મોબાઇલ કેટરિંગનો મુદ્દો ઉઠાવ્યા પછી આવ્યો છે. પોતાના આદેશમાં હાઇકોર્ટે ભારતીય રેલ્વેને આઈસીઆરએમસીએની માગણીઓ સાંભળવાની સાથે કેટરિંગ સેવા ફરીથી ચાલુ કરવા નિર્દેશ આપ્યો હતો, જે લોકડાઉનને કારણે ગયા વર્ષના માર્ચથી સ્થગિત કરવામાં આવી છે.
અદાલતે રેલવે ઓર્થોરિટીને કહ્યું હતું કે સંગઠનના સભ્યો પોતાની વાત રાખવાનો પૂરો સમય આપે અને ચાર અઠવાડિયાની અંદર આદેશ જારી કરવા કહ્યું છે. રેલવે મંત્રાલયે કહ્યું કે તેણે 4 જાન્યુઆરી 2021 ના રોજ આઇસીઆરએમસીએની વાત સાંભળી અને ટેન્ડર સંબંધિત દસ્તાવેજો અને નીતિની શરતોને પણ ધ્યાને રાખી હતી. આ ઉપરાંત 11 ફેબ્રુઆરી 2021 ના રોજ આઈઆરએમસીએના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે વિનંતી કરવામાં આવી હતી કે તેઓને લાઇસન્સ ફી સાથે રાખેલી ટ્રેનોમાં કામ કરવાની છૂટ આપવી જોઈએ અથવા નવી ટ્રેનોમાં કામ કરવાની છૂટ આપવામાં આવે.