નવી દિલ્હી: પ્રત્યેક પચાસ કિ.મી.ના વિસ્તારમાં પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરતા હવે પાસપોર્ટ મેળવવા વધુ લાંબો પ્રવાસ નહીં કરવો પડે. વિદેશ ખાતાનાં પ્રધાન સુષમાસ્વરાજે નવા ૧૪૯ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાની શનિવારે જાહેરાત કરી હતી.
આ સાથે જ પ્રથમ તબક્કામાં વિદેશ ખાતા દ્વારા નવા ૮૬ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાની કરવામાં આવેલી જાહેરાતમાં નવા ૧૪૯ પાસપોર્ટ સેવા કેન્દ્રનો ઉમેરો થશે. વિદેશ ખાતા અને પોસ્ટ ખાતા દ્વારા સંયુક્ત રીતે આ કવાયત હાથ ધરવામાં આવી છે. સત્તા પર આવ્યા બાદ એનડીએ સરકારે પણ દેશના ઇશાન વિસ્તારને પ્રાથમિકતા આપી ૧૬ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કર્યા હતા. મે ૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ એનડીએ સરકારે કુલ ૨૫૧ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કર્યા છે. આ અગાઉ દેશમાં ૭૭ પાસપોર્ટ સેવા કેન્દ્ર હતા. સુષમા સ્વરાજે વિદેશપ્રધાન તરીકેના હોદ્દાનો હવાલો સંભાળ્યો ત્યારે તેમણે જોયું કે પાસપોર્ટ મેળવવામાં સૌથી મોટો અંતરાય પાસપોર્ટ કેન્દ્રનું અંતર હતું. કોઇપણ વ્યક્તિએ પાસપોર્ટ મેળવવા માટે પચાસ કિમી કરતા વધુ પ્રવાસ ન કરવો પડે તેવું અમે લક્ષ્ય રાખ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વિદેશ ખાતું પોસ્ટ ખાતા સાથે મળીને ૮૧૦ જેટલા વડા પોસ્ટ મથકને આ યોજનાના દાયરામાં લાવવા માટે કામગીરી કરી રહ્યું છે.
આ કાર્ય માટે પોસ્ટ ઓફિસની યોગ્યની ચકાસણી અને યોગ્ય કામગીરી કર્યા બાદ ત્રીજા તબક્કામાં આ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.