ભારત-પાક અટારી સરહદ પર દેશનો સૌથી ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો. રવિવારના રોજ અહીં 360 ફૂટ ઊંચા ફ્લેગમાસ્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. ઝંડાના પોલનું વજન 55 ટન છે અને તેના નિર્માણ પર 3.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પંજાબ સરકારના અમૃતસર સુધાર ન્યાસ પ્રાધિકરણનો આ પ્રોજેક્ટ હતો. પંજાબના મંત્રી અનિલ જોશીએ આ સૌથી ઊંચા ફ્લેગમાસ્ટ પર દેશનો સૌથી ઊંચો તિરંગો લહેરાવ્યો હતો. આ અગાઉ ઝારખંડના રાચીમાં સૌથી ઊંચો 293 ફૂટ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
અમૃતસર સુધાર ન્યાસ પ્રાધિકરણે 6 અન્ય ઝંડા સ્ટેન્ડબાય રીતે રાખ્યાં છે. જેથી કરીને ખરાબ હવામાનના કારણે તિરંગામાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેને બદલી શકાય. દરેક ઝંડાની કિંમત 1.25 લાખ રૂપિયા છે. ફ્લેગમાસ્ટ પર દેશનો સૌથી ઊંચો તિરંગો ફરકાવનાર પંજાબના મંત્રી જોશીએ કહ્યું કે હું જ્યારે મોટો થયો ત્યારે હંમેશા સાંભળતો હતો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. હું એક સૈનિક તો નથી બની શકતો પરંતુ મને લાગે છે કે આપણે બધાએ કઈક એવું કરવું જોઈએ જેનાથી દેશ અને દેશની રક્ષા કરનારા સૈનિકોને ગર્વ મહેસૂસ થાય. મને ગર્વ છે કે આ રીતનો પ્રોજેક્ટ પૂરો થયો.