મુંબઇઃ કેન્દ્રીય બજેટની પહેલા ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ ગંભીર બની રહ્યો છે અને બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ થયા છે. આજે શુક્રવારે સેન્સેક્સ 588 પોઇન્ટના કડાકામાં 46285ના સ્તરે બંધ થયો છે. તો નિફ્ટી 183 પોઇન્ટની નબળાઇમાં 13634ના સ્તરે બંધ થયો છે. આ સાથે છ દિવસની મંદીમાં સેન્સેક્સ તેની સર્વોચ્ચ સપાટીથી અત્યાર સુધીમાં 3900 પોઇન્ટ ખાબક્યો છે. ઉલ્લેખનિય છે કે, સેન્સેક્સ 21 જાન્યુઆરીના રોજ પ્રથમવાર 50,000ની સપાટીને ક્રોસ કરી હતી અને 50,184ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ કર્યુ હતુ. જો કે ત્યારબાદ રોકાણકારોની નફાવસૂલી વધતા શેરબજાર સતત છ ટ્રેડિંગ સેશનથી ઘટી રહ્યુ છે. આ સાથે સેન્સેક્સમાં સતત બીજો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે, જે સપ્ટેમ્બર 2020 પછીની પ્રથમ ઘટના છે.
સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક ઘટ્યા છે. જેમાં ઇન્ફોસિસ, બજાજ ઓટો, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી અને ડો. રેડ્ડીઝ લેબના શેર 2થી 5.7 ટકાના ઘટાડે ટોપ-5 લુઝર બન્યા હતા. સેન્સેક્સના જે ચાર સ્ટોક વધ્યા હતા તેમાં ઇન્ડ્સઇન્ડ બેન્ક 5.4 ટકા, સન ફાર્મા 4 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.7 ટકા અને એચડીએફસી બેન્ક 1.5 ટકા સુધર્યા હતા. તેવી જ રીતે બેન્ચમાર્ક નિફ્ટીના 50માંથી 43 બ્લુચિપ સ્ટોક તૂટ્યા હતા.
આજે સેન્સેક્સના ઘટાડામાં સૌથી વધારે યોગદાન ઇન્ફોસિસનું 123 પોઇન્ટ, ત્યારબાદ રિલાયન્સનું 99 પોઇન્ટ અને ટીસીએસનો 83 પોઇન્ટ હતુ. ભારે રસાકસી બાદ શેરબજારની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઇ ખાતે 1382 શેર વધ્યા હતા જ્યારે 1529 સ્ટોક ઘટીને બંધ રહ્યા હતા.આજે આઇટી અને ઓટો સેક્ટરના સ્ટોકમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
ભારતીય શેરબજાર સળંગ છ દિવસથી ઘટી રહ્યુ છે અને રોકાણકારોની સંપતિમાં જંગી ધોવાણ થયુ છે. આજે 29 જાન્યુઆરી, 2020ના રોજ બીએસઇની માર્કેટકેપ 186.12 લાખ કરોડ રૂપિયા થઇ છે જે ગુરુવારની તુલનાએ રોકાણકારોની સંપત્તિમાં 2.01 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.