નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં મોટો ઘટાડો કરતા લોકોને ફરી નીચા ભાવે બંને કિંમતી ધાતુઓની ખરીદી કરવાની તક મળી છે. બજેટમાં સોના અને ચાંદીની આયાત જકાતમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ સતત બીજા દિવસે ભારતીય બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઘટાડો આવ્યો છે.
દિલ્હીના ઝવેરી બજારમાં આજે મંગળવાર બીજી ફેબ્રુઆરી, 2021ના રોજ સોનાનો ભાવ 480 રૂપિયા ઘટ્યો હતો અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 47,702 રૂપિયા થયો હતો. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ જે ધરખમ ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવમાં 3097 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 70,122 રૂપિયા થયો હતો. બજેટમાં બંને કિંમતી ધાતુઓ પરની આયાત જકાત ઘટવાને પરિણામ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. ગઇકાલ સોમવારે દિલ્હીમા સોનાનો ભાવ 48,182 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ પ્રતિ એક કિગ્રા દીઠ 73,219 રૂપિયા હતો.
અત્રે નોંધનિય છે કે, સરકારે વર્ષ 2021-22ના બજેટમાં સોના અને ચાંદી પરની આયાત જકાત ઘટાડીને 7.5 ટકા કરી છે, અત્યાર સુધી બંને કિંમતી ધાતુઓ પર 12.5 ટકા વસૂલાત છે.
આજે વૈશ્વિક બુલિયન બજારમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યુ હતુ. સોનું 1847 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતુ. તો ચાંદીનો ભાવ 27.50 ડોલર પ્રતિટ્રોસ થયો હતો.
બુલિયન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અમેરિકામાં નવા આર્થિક પેકેજની જાહેરાત અંગેની આશા નબળી પડી રહી છે તેના પગલે સોના-ચાંદીમાં નરમાઇ દેખાઇ રહી છે. રોકાણકારો અને ટ્રેડરો દ્વારા સોના-ચાંદીમાં ઉંચા મથાળે વેચવાલી કરી નફાવસૂલી કરવામાં આવી રહી છે.