ગાંધીનગર કોરોના સંક્રમણ સમયે ભાજપે મોટો જુગાર ખેલીને રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજી બેઠક મેળવવા માટે મરણિયા પ્રયાસ શરૂ કર્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ અસ્તિત્વનો જંગ સમજીને બીજી બેઠક બચાવવા દોડધામ શરૂ કરી છે. કોંગ્રેસની રિસોર્ટ પોલિટીક્સની સામે ભાજપની ચાણક્ય ચાલ કેટલી તીવ્ર છે અને તેની અસર કેટલી જોરદાર છે તેનો ફેસલો આજે સાંજે આવી જશે.
ગુજરાતમાં આજે એટલે કે 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી થવાની છે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને વ્હિપ આપી દીધો છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમના બાકી બચેલા 65 ધારાસભ્યોને સાચવી રહ્યાં છે. આ ચૂંટણીમાં માત્ર બે મત માટે રસાકસી સર્જાય તેવી સંભાવના છે. જો કોંગ્રેસમાં ક્રોસવોટીંગ થયું અને બીટીપીના બે મતો મેનેજ કરી લીધા તો ભાજપની ત્રીજી બેઠક મેળવવાથી કોઇ રોકી શકશે નહીં. કોંગ્રેસ માટે અત્યારે કપરો અને કટોકટીનો સમય ચાલી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 99 અને કોંગ્રેસના 77 ધારાસભ્યો હતા પરંતુ અત્યારે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 103 થઇ છે અને કોંગ્રેસના ધારાસભ્યો ઘટીને 65 રહી ગયા છે. કોરોના સંક્રમણ શરૂ થયું તે પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા પરંતુ માર્ચમાં આયોજીત રાજ્યસભાની ચૂંટણી કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારબાદ 19મી જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે તેવું જાહેર થતાં ભાજપના કહેવાથી કોંગ્રેસના ત્રણ સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. આમ કુલ કોંગ્રેસના આઠ સભ્યો રાજ્યસભામાં મત આપી શકશે નહીં.
ગુજરાત વિધાનસભામાં અત્યારે 172 બેઠકો છે. ભાજપની સંખ્યા 103 છે. કોંગ્રેસની સંખ્યા 65 છે. બે બીટીપી, એક એનસીપી અને એક અપક્ષ ધારાસભ્ય મતદાન કરશે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપશે જ્યારે એનસીપીના કાંધલ જાડેજા ભાજપને મત આપવાનું નક્કી કરી ચૂક્યાં છે. લડાઇ બીટીપીના બે ધારાસભ્યો માટે થવાની છે.
ભાજપે અભય ભારદ્વાજ અને રમિલા બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતા નરહરિ અમીનનું નામ જાહેર કરતા જ ‘નવાજૂની’ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી જ્યારે કોંગ્રેસ તરફથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસની સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલને પક્ષના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ માટે શક્તિસિંહ ગોહિલ પ્રેફરન્સનો મત છે તેથી ભરતસિંહ સોલંકી માટે વિપક્ષે વધારે પ્રયાસ કરવા પડે તેમ છે.
કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી અને ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુની ગોહેલ નિવૃત્ત થતાં આ બેઠકો ખાલી પડી છે. કોણ છે રાજ્યસભાના ચાર ઉમેદવારો અભય ભારદ્વાજ રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો., કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા. રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે. અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.
શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસે જે નામ જાહેર કર્યું છે તે હાલમાં બિહારના પ્રભારી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલનું છે. તેઓ 2014-2017માં અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓએ એલ.એલ.બી., એલ.એલ.એમ., બી.એસ.સી.નો અભ્યાસ કર્યો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડવીઓ ચૂંટણી લડ્યા હતા અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો.
રમિલા બારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આદિવાસીના આંદોલન ચાલી રહ્યાં છે, ત્યારે ભાજપે રમિલા બારાની પસંદગી કરી છે. 65 વર્ષીય રમિલાબહેન બારા સાબરકાંઠાના ખેડબ્રહ્માનાં વતની છે અને બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. બારા ભાજપમાંથી 2004માં ખેડબ્રહ્માની સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડ્યાં હતાં અને વિજયી થયા હતા. ખેડબ્રહ્માની સીટ કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી ત્યાંથી ચૂંટણી લડતા હતા.
નરહરિ અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા નરહરિ અમીનને ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કહેવાય છે કે નરહરિ અમીન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કૂર્મી પાટીદારો સાથે ઘરોબો ધરાવે છે. અગાઉ વિધાનસભામાં ભાજપે નરહરિ અમીનને ટિકિટ આપી ન હતી પરંતુ રાજ્યસભાની ટિકીટ આપી છે.
નરહરિ અમીન જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન અને સહકારી ક્ષેત્ર ઉપર તેમનું પ્રભુત્વ હતું. જોકે 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યાં હતા.
ભરતસિંહ સોલંકી બોરસદમાં જન્મેલા ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ 1995માં ધારાસભ્ય બન્યા હતા અને સતત ત્રણ ટર્મ સુધી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2014 સુધીની તત્કાલીન ડૉ. મનમોહનસિંઘ સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા. જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના મીતેશ પટેલ સામે હાર્યા હતા. ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.