બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર અને ભારતમાં વિદેશ ભાગી જનાર ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યા પર નાદારીનો ગાળિયો દિવસને દિવસે વધુ મજબૂત થઇ રહ્યો છે. લંડનની કોર્ટે ભાગેડુ કારોબારી વિજય માલ્યાને મંગળવારે એક ઝાટકો આપ્યો છે. અહીંની કોર્ટમાં નાદારીની અરજી લગાવનાર વિજય માલ્યાને હારનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે આ આદેશ આપ્યા બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માટે તેની સંપત્તિ વેચી પોતાની બાકી નીકળતી રકમ વસૂલ કરવાનો માર્ગ મોકળો બની જશે.
લંડન હાઈકોર્ટે ભારતમાં માલ્યાની સંપત્તિ પર લાગુ કરવામાં આવેલી સિક્યોરિટી કવરને હટાવી દીધું છે. એનાથી SBIના વડપણ હેઠળની ભારતીય બેન્કોના કન્સોર્ટિયમ માલ્યા પાસેથી બાકી લેણાંની વસૂલાત કરવા માટે પ્રબળ સંભાવના સર્જાઈ છે. હવે ભારતીય બેન્કો માલ્યાની ભારતમાં રહેલી સંપત્તિને જપ્ત કરી બંધ થયેલી કિંગફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોન વસૂલ કરી શકશે.
SBIના વડપણ હેઠળના કન્સોર્ટિયમે એપ્રિલ મહિનામાં લંડન હાઈકોર્ટમાં સુનાવણી સમયે ભાગેડુ કારોબારીને નાદાર જાહેર કરવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. વિજય માલ્યા પર બંધ થયેલી કિંગફિશર એરલાયન્સ માટે 9 હજાર કરોડ રૂપિયાનું બાકી લેણું છે.
વિજય માલ્યાએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય બેન્કો તરફથી દાખલ બેન્કરપ્ટની અરજી કાયદાની મર્યાદાથી બહાર છે. તે ભારતમાં તેમની સંપત્તિની સિક્યોરિટી પર લાગૂ થઈ શકે નહીં, કારણ કે તે ભારતમાં પ્રજાના હિતની સામે છે. લંડન હાઈકોર્ટના ચીફ ઈન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ (ICC)ના ન્યાયમૂર્તિ માઈકલ બ્રિગ્સે ભારતીય બેન્કોના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું કે એવી કોઈ જ પબ્લિક પોલિસી નથી કે જે માલ્યાની સંપત્તિને સિક્યોરિટી રાઈટ આપી શકે.
બ્રિટનમાં પ્રત્યાર્પણ કેસ હારતા અને બ્રિટનના ગૃહ મંત્રાલયે શરણની અપીલ નકારી દીધી હોવા છતાં બેન્કોને રૂપિયા 9 હજાર કરોડનો ચૂનો લગાવી ભારતથી ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણમાં વિલંબ થઈ શકે છે. માલ્યા શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી તેને ભારત આવવું ન પડે. કાયદા બાબતના જાણકારોનું કહેવું છે કે બ્રિટનમાં તેમને જીતવાની શક્યતા નહીંવત છે, તેમ છતાં તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવતા તમામ માર્ગોને જોતા બ્રિટનમાં વધુ કેટલાક દિવસ રહેવા મળી શકે ચે. નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટનમાં રહેવાના લગભગ તમામ કાયદાકીય માર્ગ બંધ થઈ ગયા છે.