મુંબઇઃ હાલના ટેકનોલોજીના સમયમાં બિટકોઇન સહિતની ડિજિટલ કરન્સીની બોલબાલા છે પરંતુ ભારતમાં તેને હજી સુધી કાયદેસરની માન્યતા આપવામાં આવી હતી. ઉલટાનું છેલ્લા ત્રણ વર્ષ તેના પર કડક નિયંત્રણ-અંકુશો લાદવાની વાતો થઇ રહી છે. હવે દેશમાં બિટકોઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધ લાદવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે અને આ માટે સરકાર નવા કડક નિયમો લાવશે.
કેન્દ્ર સરકાર બિટકોઇન,ઈથર જેવી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. આ માટે સરકાર આગામી બજેટ સત્રમાં ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ-2021 રજૂ કરશે.જોકે સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા નથી માંગતી.
લોકસભા બુલેટિન અનુસાર આ બિલ ભારતનાં સત્તાવાર ડિજિટલ ચલણ માટે માર્ગ મોકળો કરશે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)માળખું તૈયાર કરશે. આ ખરડો લોકસભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. બિલને ચાલુ બજેટમાં આ ખરડો પસાર કરવાની સંભાવના છે.
દેશમાં ક્રિપ્ટોકરન્સીનો વ્યાપ ઝડપથી વધી ગયો છે. પરંતુ આ માટે દેશમાં કોઈ કાયદો અથવા માર્ગદર્શિકા નથી. 2018માં આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સી સંબંધિત એક પરિપત્ર બહાર પાડ્યો. જેમાં આરબીઆઈએ તમામ નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટોકરન્સી સંબંધિત સેવાઓ પ્રદાન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.આરબીઆઈ દ્વારા રોક લાગ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આરબીઆઈએ લાદેલ પ્રતિબંધને ફગાવીને ક્રિપ્ટોકરન્સીમાં કારોબાર કરવાની મંજૂરી આપી હતી. જાણકારોનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકાર પોતાના જોખમે રોકાણ કરે છે.