મુંબઇઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસ ફરી બેકાબુ બની ગયો છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નિતિન રાઉતે ગુરુવારે એલાન કરતા જણાવ્યું કે શહેરમાં 15થી 21 માર્ચ એટલે કે 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે, આ મામલે કોઈપણ વ્યક્તિ બહાર નિકળી નહી શકે માત્રને માત્ર જરૂરી સામાનોની દુકાનો ખુલ્લી રહેશે. પ્રાઈવેટ ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે અને સરકારી ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી દેવાશે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 13,659 નવા કેસ નોંધાયા છે. જેમાં પુણેમાં સૌથી વધુ 2507 કેસ સામે આવ્યા છે. 15થી 21 માર્ચ સુધી દરેક વ્યક્તિને ઘરમાંથી નીકળવા માટે મનાઈ ફરમાવામાં આવી છે.
નાગપુરમાં જીવલેણ કોરોના વાયરસના વધતા મામલાને જોઈને 14 માર્ચ સુધી નાઈટ કર્ફયુ તો લાગું કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ તમામ હોટલ, મોલ, રેસ્ટોરેન્ટ અને ખાનગી ઓફિસને વિકેન્ડ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ વિકેન્ડ માં ફક્ત જરૂરી સામાનોની દુકાનો ખોલવાની અનુમતી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના 6 જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા બાદ, તેમને કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કોરોના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ બુધવારે છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા 16 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 11 હજારથી વધુ નવા કોરોના કેસ મળી આવ્યા હતા. તે દિવસે 11,447 નવા કેસ આવ્યા હતા. જે પછી, હવે કોરોના સંક્રમણનો પોતાનો રેકોર્ડ તૂટી ગયો છે.