મહેસાણા : કાચા કામના કેદી કેતન પટેલના અપમૃત્યુના કેસમાં મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ પાટીદાર યુવાનોએ મુંડન કરાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શનિવારે પાંચમા દિવસે પણ પાટીદાર અને પોલીસ વચ્ચેની મડાગાંઠ યથાવત્ રહેવા પામી છે. મુંડન કરાવનાર યુવાનોના વાળ મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કુરીયર કરાયા હતા.
ચોરીના કેસમાં મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરેલા કથિત આરોપી કેતન પટેલનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિજનો અને પાટીદારોએ પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવીને પોલીસ કર્મીઓ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. આ ઘટનાની તપાસ જ્યુ.મેજિસ્ટ્રેટને સોંપાયા બાદ પછી બીજીવાર મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે, જવાબદાર પોલીસ કર્મીઓની ધરપકડ કરવાના મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પાંચમા દિવસે પણ ઠેરની ઠેર રહી છે. દરમ્યાન,શનિવારના રોજ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એસપીજીના લાલજી પટેલ, જીગર પટેલ સહિત ૧૦૧ પાટીદાર યુવાનોએ સામુહિક મુંડન કરાવીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.