મુંબઇઃ કોરોના સંકટકાળ દરમિયાન ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે અને રોકાણકારો માલામાલ થયા છે. નાદાર થયેલી એક ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા 4 મહિનામાં 7000 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં આ શેરમાં અપર સર્કિટ લાગી છે. આ વાત થઈ રહી છે દેવાળિયા ધોષિત થઈ ગયેલી કંપની ઓર્ચિડ ફાર્મા લિમિટેડની. દેવાળિયા ઘોષિત થયા બાદ આ કંપનીને એનસીએલટીના રિઝોલ્યુશન પ્લાન હેઠળ ધનુકા લેબે ખરીદી હતી. ત્યાર બાદ આ કંપનીના શેરમાં જોરદાર તેજી આવી રહી છે. ફાર્મા સ્ટોક ઓર્ચિડ ફાર્માએ રિટર્ન આપવામાં બીટકોઈનને પણ પાછળ રાખી દીધો છે. જ્યાં આર્કિડ ફાર્માનો શેર છેલ્લા 4 મહિનામાં લગભગ 7000 ટકા ઉછળ્યો છે. આ સમયે બીટકોઈનમાં માત્ર 203 ટકા જ રિટર્ન મળ્યું છે.
3 નવેમ્બર 2020ના રોજ ઓર્ચિડ ફાર્માને સ્ટોક એક્સચેંજમાં ફરી લિસ્ટેડ કરાવવામાં આવી હતી. ત્યાર પછી કંપનીના શેરના ભાવમાં કદી ઘટાડો આવ્યો નથી. રી-લિસ્ટિંગના દિવસથી અત્યારસુધીમાં કંપનીના સ્ટોક્સમાં રોજ ઉપરની સર્કિટ વાગી છે. બુધવારે 10 માર્ચે શેરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી અને શેર NSE પર 1,307.55 રૂપિયાની સપાટી પર બંધ થયો હતો. આ સમયગાળામાં, BSE બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સે લગભગ 27 ટકા વળતર આપ્યું છે. તો બિટકોઇન 200 ટકાથી ઉપર વધ્યો છે.
ઓર્કિડ ફાર્મા કંપની જ્યારે 3 નવેમ્બર 2020ના રોજ રી-લિસ્ટ કરવામાં આવી ત્યારે શેરનો ભાવ 18 રૂપિયા થયો હતો, જે 10 માર્ચ 2021ના રોજ વધીને રૂ. 1,307.55ની સપાટીએ પહોંચી ગયો છે. આમ, આ રીતે જોવામાં આવે તો માત્ર 128 દિવસમાં રોકાણકારોએ 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમણે 7.25 લાખનું વળતર મળ્યું હશે.
ઓર્કિડ ફાર્મા કંપનીમાં ધનુકા લેબની ભાગીદારી 98.04 ટકા છે. ધનુકા લેબ્સે (Dhanuka Labs) એનસીએલટી ઠરાવ હેઠળ Orchid Pharma સંપાદિત કરી હતી. ચેન્નાઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 5,082.87 કરોડ થઈ છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ઓર્કિડ ફાર્મામાં ધનુકા લેબનો હિસ્સો ઉપરોક્ત મુજબ છે અને નાણાકીય સંસ્થાઓનો હિસ્સો 0.04 ટકા છે.