મુંબઇઃ વૈશ્વિક શેરબજારોની નરમાઇ અને રોકાણકારોની જંગી વેચવાલીના દબાણના લીધે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મંદીનો માહોલ રહ્યો છે. શેરબજારમાં સતત બીજા દિવસે પણ મોટો કડાકો બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયુ છે.
આજે શુક્રવારે સેન્સેક્સ 441 પોઇન્ટ ઘટીને 50405ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી પણ મંદીના માહોલ વચ્ચે 15,000નું સપોર્ટ ગુમાવી કામકાજના અંતે 143 પોઇન્ટ ઘટી 14938ના સ્તરે બંધ થયો છે. આમ વિતેલા બે દિવસ દરમિયાન જંગી વેચવાલીના લીધે સેન્સેક્સમાં 1039 પોઇન્ટ અને નિફ્ટીમાં 308 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.
શુક્રવારે સેન્સેક્સના 30માંથી 21 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા તો નિફ્ટીના 50માંથી 38 બ્લુચિપ સ્ટોક ઘટીને રેડ ઝોનમાં બંધ થયા હતા. આજે પણ શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ બ્લુચિપ બેન્કિંગ અને આઇટી કંપનીના શેરમાં જંગી ધોવાણ છે. બીએસઇના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા જેમાં ઓઇલ-ગેસ અને એનર્જી ઇન્ડેક્સ અપવાદરૂપ છે. આજે બીએસઇનો મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ બે ટકા જેટલા તૂટ્યા હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 2.2 ટકા તૂટ્યો હતો. બીએસઇના 1057 કંપનીના શેર વધવાની સામે 1929 શેર ઘટીને બંધ થતા માર્કેટબ્રેડ્થ નેગેટિવ બની હતી. બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનું બજારમૂલ્ય શુક્રવારે 2.39 લાખ કરોડ રૂપિયા ઘટીને 207.33 લાખ કરોડ રૂપિયા થયુ હતુ જે ગત બુધવારે 210.22 લાખ કરોડ હતુ. આમ છેલ્લા બે દિવસમાં શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં 2.89 લાખ કરોડનું ધોવાણ થયુ છે.