હાલ સસ્તી ગણાતી સોલાર એનર્જી આગામી એપ્રિલથી મોંઘી શકે છે જેની પાછળ કેન્દ્ર સરકારે લીધેલો આ નિર્ણય જવાબદાર છે. મુંબઈ : સોલાર મોડયૂલ્સ પર આગામી વર્ષના એપ્રિલથી ૪૦ ટકા કસ્ટમ્સ ડયૂટી લાગુ કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે. મોડયૂલ્સની આયાત ઘટાડવા તથા ઘરઆંગણેના ઉત્પાદકોને પ્રોત્સાહન પૂરા પાડવાના ભાગરૂપ ડયૂટીમાં વધારો કરાઈ રહ્યો છે એમ રિન્યુએબલ ઊર્જા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
નાણાં મંત્રાલયે દરખાસ્તને મંજુરી આપી છે. સોલાર સેલ્સ પર પણ ઈમ્પોર્ટ ડયૂટીનો દર ૨૫ ટકા રહેશે. ભારતમાં ૮૦ ટકા મોડયૂલ્સ ચીન ખાતેથી આવે છે.
પ્રદૂષણરહિત ઊર્જા સ્રોતો વિકસાવવાના ભાગરૂપ ભારત ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ ઊર્જા ક્ષમતા વધારીને ૪૫૦ ગીગાવોટ સુધી લઈ જવા યોજના ધરાવે છે. આમાંથી ૨૮૦ ગીગા વોટ સૌર ઊર્જા હશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
આ ટાર્ગેટને સિદ્ધ કરવા ઘરઆંગણેનો સોલાર ઉત્પાદન ઉદ્યોગ સક્ષમ હોવાનું સરકાર માની રહી છે. જોકે ઈમ્પોર્ટમાં ડયૂટીમાં વધારો ઘણો જ ઊંચો છે અને તેને કારણે વિતરણ કંપનીઓ માટે સોલાર પાવરના ખર્ચમાં વધારો થશે જેનો ભાર વપરાશકારોએ સહન કરવો પડશે ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
આત્મનિર્ભર ભારત કાર્યક્રમના ભાગરૂપ તથા ચીન સાથેના સરહદી વિવાદ બાદ ભારત સરકાર ચીન ખાતેથી દેશની આયાતો ઘટાડવાના પ્રયાસમાં છે.