મુંબઇઃ જેની દહેશત હતી જેવી જ સ્થિતિ ભારતીય શેરબજારમાં જોવા મળી છે અને બેન્ચમાર્ક સેન્સેક્સ 50,000ની ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા બાદ સતત ત્રીજા દિવસે જંગી વેચવાલીના દબાણમાં 900 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો અને બેન્ચમાર્ક નિફ્ટી પણ 14,000ની સપાટીને નીચે બંધ રહ્યો છે. જે માર્કેટમાં હજી કરેક્શનના સંકેત આપી છે.
આજે બુધવારે સેન્સેક્સ 937 પોઇન્ટના કડાકામાં 47409ના સ્તરે બંધ રહ્યો. તો નિફ્ટી 271 પોઇન્ટ તૂટીને 13967ના સ્તરે બંધ થયો. ચાલુ કેલેન્ડર વર્ષ 2021માં નિફ્ટી પ્રથમવાર 14,000ની નીચે બંધ આવ્યો છે.
બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 24 અને નિફ્ટીના 50માંથી 38 બ્લુચિપ સ્ટોક તૂટ્યા હતા. જેમાં એક્સિસ બેન્ક 4 ટકા, ટાયટન, 3.9 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 3.7 ટકા, એચડીએફસી બેન્ક 3.6 ટકા અને ડો. રેડ્ડીઝ 3.4 ટકાના ઘટાડે સેન્સેક્સ ખાતે ટોપ-5 લૂઝર બન્યા હતા. આજે એચડીએફસી બેન્ક, એચડીએફસી અને આઇસીઆઇસીઆ બેન્કની મંદીથી સેન્સેક્સને સૌથી વધુ નુકસાન થયુ હતુ.
તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમા
આજે બુધવારે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો અને બીએસઇના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઇનો મીડકેપ ઇન્ડેક્સ 1.4 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.6 ટકા તૂટ્યો હતો. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં એફએમસીજીને બાદ કરતા તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા. જેમાં બેન્કેક્સ સૌથી વધુ 3 ટકા તૂટ્યો હતો અને તેના તમામ 10 બેન્ક સ્ટોક નેગેટિવ હતા. તો રિયલ્ટી, ઓઇલ-ગેસ, મેટલ, ફાઇનાન્સ, એનર્જી ઇન્ડેક્સમાં પણ બે ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો.
બીએસઇ ખાતે માર્કેટબ્રેડ્થ ભારે નેગેટિવ હતી. આજે બીએસઇ ખાતે 1066 શેર વધ્યા હતા જેની સામે 1847 સ્ટોક ઘટીને બંધ થયા હતા.
રોકાણકારોને 8 લાખ કરોડો રૂપિયાનું નુકસાન
શેરબજારમાં સતત ઘટાડાને પગલે બીએસઇની માર્કેટકેપ પણ સતત ઘટી રહી છે. આજે 27 જાન્યુઆરી, બુધવારના રોજ બીએસઇની માર્કેટકેપ ઘટીને 189.63 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે તેની અગાઉના સપ્તાહે બુધવારના રોજ બીએસઇની માર્કેટ રૂ. 197.71 લાખ કરોડ હતી. આમ સપ્તાહ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં 8.04 લાખ કરોડનું ધોવાણ થયુ છે.