મુંબઇઃ સોનાને સંકટ સમયની સાંકળ ગણાય છે અને તેમાં કરેલુ રોકાણ પણ સુરક્ષિત છે. હાલ સોનામાં રોકાણ માટેનો ઉત્તમ સમય છે કારણ કે સોનું તેની ઐતિહાસિક ઉંચી સપાટીથી લગભગ 11000 રૂપિયા જેટલુ અને ટકાવારીમાં કહીયે તો 22 ટકા જેટલુ સસ્તુ થઇ ગયુ છે.
સોનાના ભાવમાં ઘટતા રોકાણકારો હાલ રોકાણ કરવામાં ડરી રહ્યા છે કારણે તેમને ભાવ વધુ ઘટવાની ચિંતા છે. બુલિયન બજારના નિષ્ણાંતોનું કહેવુ છે કે, સોનાની કિંમતો દબાણ હેઠળ હોવા છતાં લાંબા સમય સુધી તે નીચી રહેશે નહીં. ડોલમરાં નબળાઇ, મોંઘવારીમાં વધારો અને તલરતા વધતા સોનાની કિંમતો ફરી વધી શકે છે.
આજે ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 500 રૂપિયા વધી અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 46,800 રૂપિયા થયો હતો. તો ચાંદીના ભાવ 500 રૂપિયા સુધર્યા અને પ્રતિ એક કિગ્રાની કિંમત 68,000 રૂપિયા થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ગઇકાલ બુધવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 46,300 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ કિગ્રા દીઠ 67,500 રૂપિયા હતી. આજે મહાશિવરાત્રી નિમિત્તે સોનાના વાયદા કામકાજ બંધ રહ્યા હતા અલબત્ત હાજર બજારમાં ખરીદ-વેચાણ ચાલુ હતુ.
વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલરની ઉપર મજબૂત થતુ દેખાઇ રહ્યુ હતુ. આજે સોનાનો ભાવ 10.50 ડોલર વધીને 1727 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદી પણ સાધારણ સુધારામાં 26.30 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. આજે ટકાવારીની દ્રષ્ટિએ સોનું 0.6 ટકા અને ચાંદી 1 ટકા વધી હતી.
અમેરિકન બોન્ડની યીલ્ડમાં ઘટાડો અને ડોલર ઇન્ડેક્સ નબળો પડવાથી હાલ ફરી સોના-ચાંદીમાં સુધારા તરફી માહોલ દેખાઇ રહ્યો છે. જો યુએસ ડોલર વધુ નબળો પડ્યો અને બોન્ડની યીલ્ડ ઘટી તો કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાની ચાલ યથાવત રહેવાની શક્યતા છે.