જુનાગઢ,
એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે, ભારે વિવાદ બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રોપ-વેનું ભાડું તો એટલું જ રહેશે પરંતુ ટિકિટ સાથે અલગથી લેવાતા જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવા ભાડાની જાહેરાત પ્રમાણે ટિકિટનનો ભાવ ૭૦૦ જ રહેશે પરંતુ અલગથી જે ૧૮ ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના ભાવમાં એડ કરાશે. જુનાગઢ ગિરનાર રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો છે, મીડિયા રિપોર્ટ મુજબ જુનાગઢના એમએલએએ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વ્યક્તિને પોસાય તેટલું રાખવાની માંગ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગિરનાર રોપ-વેનું ભાડું ૬ ગણું વધારે છે.
જણાવી દઈએ કે, ભાડામાં ઘટાડો કરવા માટે પીએમ મોદી અને સીએમ રૂપાણી સુધી રજૂઆત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ જૂનાગઢના મેયરે સીએમ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે, ગિરનાર રોપ વે ની ટિકિટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વેની સરખામણીએ ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ ઘણો ઉંચો છે.
જે સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી. જેથી ટિકિટના દર ઘટાડીને ૪૦૦ રૂપિયા કરવામાં આવે તેવી માંગ છે. ઉલ્લેખનીય છે કે, ૨૪ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની સાથે રોપ-વેથી ગિરનાર અંબાજી મંદિર જઈને પૂજન-અર્ચન કર્યું હતું.