જો ભારતીય લશ્કર પાછું નહીં ખેંચાય તો આકરા થવું જ પડશે એવી ચેતવણી ફરી ચીને આપી |
બીજિંગ: ડોકલામ મડાગાંઠ અંગેના નવા તંત્રીલેખમાં ચીનના સરકાર સંચાલિત દૈનિકમાંં ફરી એક વખત ભારતને ચેતવણી આપવામાં આવી છે કે જો ભારતીય લશ્કર એ વિસ્તારમાંથી નહીં ખસે તો ચીન માટે વળતું લશ્કરી પગલું લેવાનું અનિવાર્ય બની જશે.
ચીનના અખબારે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીની સરકાર વર્ષ ૧૯૬૨ની નહેરુ સરકાર જેટલી ભોળી હતી તેટલી જ ભોળી છે.
વર્ષ ૧૯૬૨માં ભારતે ભારત-ચીન સરહદે સતત ઉશ્કેરણી કરી હતી. જવાહરલાલ નહેરુની સરકારનું મક્કમપણે માનવું હતું કે ચીન વળતો હુમલો નહીં કરે.
ચીન તે સમયે સ્થાનિક ઉથલપાથલ અને કુદરતી આફતોમાંથી પસાર થઈ રહ્યું હતું. ચીન અને અમેરિકાના સંબંધો વણસી રહ્યા હતા અને રશિયા સાથેના ચીનના સંબંધ હળવા થઈ રહ્યા હતા. પંચાવન વર્ષ પસાર થઈ ગયા છે, પરંતુ ભારત સરકાર હજુ પણ એટલી જ ભોળી છે, એમ તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું.
ભારત સાથે નિકટના લશ્કરી અને રાજદ્વારી સંબંધ ધરાવતા ભુતાને વ્યૂહાત્મક ત્રિભેટા પાસે ચીનના લશ્કર દ્વારા બાંધવામાં આવી રહેલા રોડનો વિરોધ કર્યા બાદ ભારત અને ચીન વચ્ચે મડાગાંઠ સર્જાઇ હતી.
તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત એ જાણે છે કે તે ચીનને હરાવી શકે એમ નથી અને કોઇ પણ પ્રકારની સંઘર્ષની સ્થિતિમાં અમેરિકા ભારત તરફથી ઝુકાવશે.
એવું લાગી રહ્યું છે કે ભારત અમેરિકા-ચીનની દુશ્મનીનો પ્રકાર નથી સમજી રહ્યું.
ભારત વિચારી રહ્યું છે કે ભારત-ચીન વિવાદને મામલે અમેરિકા ભારત તરફી નિવેદન કરીને કે પછી ભારતીય સમુદ્રમાં યુદ્ધજહાજ મોકલીને વિવાદને પ્રભાવિત કરી શકે છે.
ભારતે કાયદેસર તેમ જ નૈતિક એમ બંને રીતે ગુમાવ્યું છે. ભારતમાં ચીનની બરોબરી કરવાની ક્ષમતા નથી, એમ તેમણે કહ્યું હતું.
જો નરેન્દ્ર મોદી સરકાર ચીન દ્વારા આપવામાં આવતી ચેતવણીની સતત અવગણના કરશે તો તેવા સંજોગોમાં ચીન માટે લશ્કરી પગલું લેવાનું અનિવાર્ય બની જશે.