મુંબઇઃ નોટબંધી બાદ સરકારે 2000ના મૂલ્યની નવી ચલણી નોટ બહાર પાડી હતી. હાલ ભારતમાં સૌથી વધારે મૂલ્યની આ નોટ છે અને તેથી 2000ની નોટની વધારે સાચવણી કરવી પડે. જો 2000ની નોટ ફાટી કે ખરાબ થઇ જાય તો લોકોને મોટુ નુકસાન થઇ શકે છે. નોંધનિય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફાટેલી નોટો પર રિફંડ આપવા માટે અમુક પ્રકારના નિયમો બનાવ્યા છે. કેન્દ્રીય બેંકના આ નિયમોના આધારે બેંક ગ્રાહકોને ફાટેલી નોટોના બદલામાં રિફંડ આપે છે. ફાટેલી નોટોને બેંકમાં જઈને બદલાવી શકાય છે.
ફાટેલી નોટોને લઈને લોકોના મનમાં કેટલાય પ્રકારના સવાલો થતાં હોય છે. જેમાંથી એક પ્રશ્ન એ પણ છે કે, જો 2 હજારની મોટી નોટ ફાટી જાય તો શું બેંકમાં તેના બદલામાં કેટલુ રિફંડ આપે ? નિયમ મુજબ જોઈએ તો, આપને રિફંડ એ આધાર પર મળે છે કે, તમારી નોટ કેટલી ફાટેલી છે.
રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે હાલમાં 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર ફાટેલી હોવા પર પુરા પૈસા મળશે, અને 44 વર્ગ સેન્ટીમીટર પર અડધી કિંમત મળશે.
જો કે, તમામ પ્રકારની નોટ બદલવા માટે બેંક બંધાયેલી નથી. જો કોઈ નોટ આખી ફાટી ગઈ હોય અને નોટના ફુરચા ઉડાવી દીધા હોય તો બેંક ના પણ પાડી શકે છે. નોટ નકલી નહીં હોય તો તેને ચોક્કસ બદલી શકાશે.
ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે, નોટ બદલવા માટે બેંક તમારી પાસેથી કોઈ ચાર્જ વસૂલતી નથી. આ સર્વિસ બેંક દ્વારા ફીમાં આપવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે, આરબીઆઈએ બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, એવી એક પણ નોટ સ્વિકારવી નહીં, જેને ગ્રાહકે જાણી જોઈને ફાડી હોય. બેંક કર્મી ધ્યાનથી જોવે તો, તેને એ વાતનો ચોક્કસ ખ્યાલ આવી જાય છે કે, નોટ જાણી જોઈને ફાડી છે કે, ભૂલથી ફાટી ગઈ છે.