ગાંધીનગર
આ આર્ટિકલ શરુ થયો એ પહેલા જે ડેટલાઇન લખી છે એ ગાંધીનગર છે. જે મહાત્મા ગાંધીના નામથી ગુજરાતના પાટનગરનું પડેલું નામ છે. આજે દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રયાસ શરુ થયો છે. જે શરૂઆતમાં એક સામાન્ય ગણગણાટ સમાન હતો. હવે એ ગણગણાટ એક રણભેરી અને બ્યુગલના ઘોષ સમાન થઇ ગયો છે. એ પ્રયાસ છે મહાત્મા ગાંધીને નરેન્દ્ર મોદીથી રિપ્લેસ કરવાનો. આ વાંચીને વાચકમિત્રોને અમારી ટીકા, નિંદા કરવાનું મન થઇ શકે. ઘણા બધા લોકો કરશે પણ ખરા. આ લખવા પાછળનો હેતુ આપ સૌ સુધી એ વાતને પહોંચાડવાનો છે કે ખરેખર આ થઇ રહ્યું છે. આપણા સૌના અચેતન મન સુધી અલગ અલગ રસ્તાઓથી આ વાત પહોંચાડવામાં આવી રહી છે. જેની શરૂઆત નાથુરામ ગોડસેના મહિમા મંડનથી કરાઈ હતી અને હવે કંગના રનૌતના એ નિવેદન સુધી પહોંચી છે જેમાં કંગનાએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે દેશને મળેલી 1947ની સાલમાં આઝાદી એ ગાંધીજીના કટોરામાં મળેલી ભીખ હતી, ખરી આઝાદીતો 2014ની સાલમાં મળી છે. આ પ્રસંગે અમે ગાંધીજી અને મોદીજી વચ્ચે સામ્યતા અને વિરોધાભાસ શોધવાનો પ્રયત્ન કર્યો. નિષ્કર્ષમાં આ બંને મહાનુભાવો વચ્ચે સામ્યતાનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું, વિરોધાભાસ ખુબ ઓછો જોવા મળ્યો. જે મુદ્દા આધારિત નિષ્કર્ષ મળ્યો એ મુદ્દાઓ આગળ મુજબ છે.
ગાંધીજી અને મોદીજી….
જો આ બંનેની કાર્યશૈલીનો અભ્યાસ કરીયે તો દુનિયા આખીના મોદીજીના ટીકાકારો એમ કહે છે કે મોદીજી તો હિટલર ના અનુગામી છે. હિટલર ના રસ્તે ચાલે છે. આમ કહેવા પાછળ મોદીજીના પ્રોપેગેન્ડા, પ્રચાર તંત્ર, રાષ્ટ્રવાદનો પ્રચંડ ફેલાવો કરવાની વૃત્તિ, વિરોધી અને સમર્થકોની પણ જાસૂસીનો આરોપો વગેરે કારણો અને તર્ક આપવામાં આવે છે. પરંતુ આ સાથે ગાંધીજીની પણ કાર્યશૈલીનો અભ્યાસ કરવામાં આવે તો એવું સ્પષ્ટ થાય છે કે મોદીજી લગભગ લગભગ ગાંધીજી ના રસ્તે ચાલી રહ્યા છે.
ગાંધીજી અને મોદીજી બન્ને ચુસ્ત હિન્દૂ
આ બન્ને મહાનુભાવો ચુસ્ત હિન્દૂ અને એ વાતને જાહેરમાં સ્વીકારવામાં ક્યારેય અચકાયા નથી. સેક્યુલર લોકો શું કહેશે એ વાતની ક્યારે પણ ચિંતા કરી નથી. ગાંધીજીની પ્રાર્થના સભા ‘વૈષ્ણવ જાણ’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ની ધૂન વિના અસંભવ હતી. એમ સોમનાથ, કેદારનાથ જેવા તીર્થસ્થળોની મુલાકાત વિના મોદીજીનું કોઈ પણ વર્ષ વીતતું નથી. મોદીજીના મંદિરમાં દર્શન કરતી વેળાની તસવીરો, વિડિઓઝનો દેશ-દુનિયામાં શક્ય એટલો પ્રચાર-પ્રસાર થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. હિન્દૂ હોવા પર ગર્વ લેવામાં બંને સામ્યતા ધરાવે છે.
બન્નેમાં ભયાનક જિદ્દ અને તેને કારણે ફક્ત ને ફક્ત પોતાનું ધાર્યું કરવાની વૃતિ.. પ્રવૃત્તિ.. પ્રકૃતિ,
ગાંધીજી અને મોદીજીમાં ભયાનક જીદ્દ એ એકસરખી જોવા મળી છે. ગાંધીજી જયારે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પછી ભારત આવ્યા ત્યારે દેશમાં તિલક, ગોખલે, લાલ લાજપતરાય, મહમદઅલી ઝીણા, સર ફિરોઝશાહ સહીત અનેક મહાનુભાવો હતા જે કોંગ્રેસ દ્વારા દેશની આઝાદીનું આંદોલન લડી રહ્યા હતા. આ ઉપરાંત 1857ના બળવા પછી પણ સશત્ર લડાઈ લાડવાવાળા ક્રાન્તિકારીઓનો પણ એક વર્ગ હતો. ગાંધીજી ફક્ત અને ફક્ત અહિંસક લડાઈ દ્વારાજ આઝાદી મેળવવા માગતા હતા. આ એમની અનેક બાબતોમાં રહેલી જીદ્દમાંની એક જીદ્દ હતી. પરિણામે કોંગ્રેસમાં એમની સાથે વૈચારિક રીતે અસહમત આગેવાનો પક્ષ અને આંદોલનથી દરકિનાર થતા રહ્યા. ઝીણા એનું સૌથી મોટું ઉદાહરણ છે. ગાંધીનું વર્ચસ્વ જેમ જેમ વધતું ગયું તેમ તેમ ઝીણા એક ખૂણામાં ધકેલાતા ગયા. પરિણામે ઝીણા દેશ છોડીને બ્રિટન વકીલાત કરવા જતા રહ્યા. લિયાકતઅલી અને ઇકબાલના અથાક પ્રયત્નો પછી એ જ ઝીણા જે ઇસ્લામિક પ્રેક્ટિસથી અનેક ગાઉ દૂર હતા એ જ ઝીણાએ ગાંધીજી દ્વારા થયેલી ઉપેક્ષાનો બદલો લેવા માટે મુસ્લિમ લીગને હથિયાર બનાવ્યું એમ કહીયે તો ખોટું નથી. બીજું સૌથી મોટું નુકસાન થયું સુભાષચંદ્ર બોઝના નામનું.
1938ની સાલમાં સુરત પાસેના હરિપુરામાં કૉંગેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જેમાં સુભાષબાબુ એ વખતની કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ હતા. એમની ટર્મ પુરી થતી હતી પરંતુ સુભાષબાબુ ફરી એક વાર પ્રમુખ પદની ચૂંટણી લાડવા માગતા હતા. એ સમયે ગાંધીજીએ દક્ષિણ ભારતના પટ્ટાભી સીતારામૈયાના નામનું સૂચન કર્યું હતું. ગાંધીજીની ઈચ્છા વિરુદ્ધ ચૂંટણી થઇ અને સુભાષબાબુ ગાંધીજીના સમર્થન ધરાવતા સીતારામૈયાને હરાવીને પુનઃ પ્રમુખ બન્યા. પરિણામે ગાંધીજીએ એ સમયે જાહેર નિવેદન આપેલું હતું જે આ મુજબ છે : ”સુભાષબાબુની જીત થી હું ખુશ છું પરંતુ પટ્ટાભી સીતારામૈયાની હારને હું એમના કરતા મારી હાર વધારે ગણું છું કારણકે એમના નામનું સૂચન મેં કર્યું હતું.” મતલબકે ગાંધીજીએ સીતારામૈયાની હારની પોતાની વ્યક્તિગત હાર ગણી હતી. આગળ ઉપર ગાંધીજી જણાવે છે કે : ”સુભાષબાબુ દેશના દુશ્મન નથી, એમના માનવ મુજબ એમની નીતિઓ સૌથી વધુ સ્પષ્ટ અને આધુનિક છે, દેશની લઘુમતીઓ એમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી શકે.” ટૂંકમાં કહીયે તો ગાંધીજીએ સુભાષબાબુને એ વખતની કોંગ્રેસમાં એટલી હદે એકલા પાડી દીધા કે જબલપુરની બાજુમાં 1939માં મળેલા ત્રિપુરી અધિવેશનમાં સુભાષબાબુ કથળેલી તબિયત હોવા છતાં સ્ટ્રેચર ઉપર આવ્યા હતા. એ વખતે પણ કેટલાક આગેવાનોએ સુભાષબાબુની કૂથલી એમ કહી ને કરી હતી કે ”તપાસ કરો કે એમની બગલમાં ડુંગળીતો નથી ને?” બગલમાં ડુંગળી ભરાવી રાખવાથી શરીરનું તાપમાન વધી જાય છે.
પરિણામ એ આવ્યું કે સુભાષબાબુએ છેવટે ગાંધીજીના જિદ્દી વલણથી કંટાળીને કોંગ્રેસનું પ્રમુખપદ અને કોંગ્રેસ બન્નેને છોડીને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એ પછી દેશ છોડ્યો અને પહેલા જર્મની અને બાદમાં જાપાન જઈને આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી. આગળ આપ સૌ જાણો છો.
હવે મોદીજીની વાત કરીયે. એમની પણ જીદ્દ એવી કે જો પોતાનું ધાર્યું કરવા માટે કોઈ પણ હદે જઈ શકે. 2001ની સાલમાં કેશુભાઈને હટાવીને પેરાશૂટ મુખ્યમંત્રી બનેલા મોદીજીએ સૌથી પેલું કામ ભાજપના તત્કાલીન કદ્દાવર નેતા હરેન પંડ્યાની 2002ની સાલની વિધાનસભાની ટિકિટ કાપવાનું કરેલું હતું. જયારે દિલ્હીના શીર્ષસ્થ નેતૃવ દ્વારા સમજાવાનો પ્રયાસ કર્યો ત્યારે મોદીજી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. એ હોસ્પિટલમાંથી બહાર ત્યારેજ નીકળ્યા જયારે દિલ્હી નેતૃત્વે હરેન પંડ્યાની ટિકિટ કાપવાની મોદીજીની વાતને માની હતી. સંજય જોષીની ગુજરાતમાંથી તાત્કાલિક હકાલપટ્ટી મોદીજીની જીદ્દનું બીજું ઉદાહરણ. 2005ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેશુભાઈ સમર્થક તમામ ભાજપના આગેવાનો જેમાં બાવકુ ઉંધાડ, બાલુ તંતી, બેચર ભાદાણી, બિમલ શાહ, રાકેશ રાવ, ગોરધન ઝડફિયા, નલિન પંડ્યા સહિતના અસંખ્ય નેતાઓનો એકડો કાઢી નાખીને ફક્ત પોતાના ખભે ચુંટાનો લડી અને જીતી બતાવી. એ પહેલાની 1995ની કેશુભાઈની સરકાર સમયે શંકરસિંહ વાઘેલાને એટલે હદે દબાણમાં લાવી દીધા કે વાઘેલાએ બળવો કરીને નવો પક્ષ બનાવી સરકાર બનાવી. પરંતુ વાઘેલાની એ પહેલાની 35 વર્ષની રાજકીય વિધારધારા અને નિષ્ઠા આ બળવાન કારણે ઝીરો થઇ ગઈ.
ગાંધીજી અને મોદીજીની જીદ્દ એ કક્ષાની ગણી શકાય કે ”આઇધર માય વે ઓર હાઈવે”. બન્ને વચ્ચેની સામ્યતાઓ જાણવા માટેની આ શ્રેણીનો બીજો ભાગ આવતી કાલે વાંચી શકશો.