ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 122 થઇ છે. આજે વધુ 14 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં સૌથી વધુ 8 કેસો અમદાવાદમાં થયાં છે. જો કે આજે વધુ ચાર વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
નવા કેસોમાં અમદાવાદમાં સાત પુરૂષ અને એક મહિલા છે. બે કેસો ભાવનગર, એક કેસ છોટાઉદેપુર, એક વડોદરા અને બે કેસ સુરતમાં થયાં છે. રાજ્યમાં નવા છ કેસ દિલ્હી કનેક્શનના છે, બાકીના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરમાં 61 વર્ષની એક મહિલાનું મોત થયું છે, જે અગાઉ ડાયાબિટીશથી પિડીત હતી.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે જે ચાર લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે તે હોસ્પિટલોમાં રાજકોટની પીડીયુ અને વડોદરાની એસએસજી હોસ્પિટલ છે. રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે.
રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં હાલ 122 લોકો દાખલ થયેલા છે. એકપણ વ્યક્તિ વેન્ટીલેટર પર નથી. 94 દર્દીઓ સ્ટેબલ છે અને અત્યાર સુધીમાં કુલ 17ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 13560 લોકો હજી પણ હોમ ક્વોરેન્ટાઇન છે.
કેસનો સ્ટડી કરતાં એવું જણાયું છે કે રાજ્યના 122 પોઝિટીવ કેસો પૈકી 33 વિદેશથી આવેલા લોકોનું સંક્રમણ છે. આંતરરાજ્ય કેસોની સંખ્યા 17 છે અને સ્થાનિક ટ્રાન્સમિશન 72 થયું છે. રાજ્યની હેલ્પલાઇન 104 પર કોરોના રિલેટેડ કોલની સંખ્યા 33017 થઇ છે જે પૈકી 570ને સારવાર અપાઇ છે.