2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં ભૂપેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) અને પાટીદાર સમાજના આગેવાનો સાથેની મીટીંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંદોલન સમયે નોંધાયેલા રાજદ્રોહ કેસ સહિત તમામ કેસો પરત ખેંચવાની માંગણીનો સ્વીકાર કર્યો હોવાનું પાસના નેતા દિનેશ ભાંભણીયાએ જણાવ્યું હતું. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.
દિનેશ ભાંભણીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી સાથે પોણા ક્લાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં પોલીસ સ્ટેશન વાઈઝ કેસોની સમીક્ષા કરીને અધિકારીઓ સાથે વિચારણા બાદ કેસો પરત ખેંચી લેવા માટે સરકારે સંમતિ દર્શાવી હતી.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈ ગયા છે. દુબઈા પ્રવાસ બાદ તેઓ ગુજરાત આવશે અને ફરી એક વાર પાસ અને અગ્રણીઓ સાથે મીટીંગ કરી કેસોની સમીક્ષા કરાશે અને વધુમાં વધુ 10 દિવસની અંદર કેસો પરત ખેંચી લેવામાં આવશે તેઓ આશાવાદ મુખ્યમંત્રી આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક કેસો થયા હતા. તેમાંથી રુપાણી સરકારે કેટલાક કેસો પાછા ખેંચ્યા હતા પણ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા અને દિનેશ ભાંભણીયા વિરુદ્વ દાખલ થયેલા રાજદ્રોહના કેસ પાછા ખેંચાયા ન હતા. હવે સરકારે રાજદ્રોહના કેસો પણ પરત ખેંચવાની માંગને સ્વીકારી હોવાનું દિનેશ ભાંભણીયાએ જણાવ્યું છે.