રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં પેપર લીક કૌભાંડ બાબતે બેધડક પોતાની વાત રજૂ કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામું આપી દેવું જોઈએ. હાલ અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે ઉત્તર ગુજરાતમાં વિવિધ પદયાત્રાઓ કાઢી રહ્યા છે.
તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે ઠાકોર સેના દ્વારા પદયાત્રા કરવામાં આવી રહી છે. લોકો સાથે સતત સંપર્કમાં રહેવાના અભિગમ સાથે ચાલવાનો પ્રયાસ છે. સંગઠન સતત સક્રીય રહે તે એક માત્ર હેતુ છે. લોકો આને રાજકીય રીતે પણ જોઈ રહ્યા છે. સંગઠનને મજબૂત કરવાની પદયાત્રાઓ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હું તો યુવાનો માટે લડું છું. રાતદિવસ કામ કરતા હોય તેવા લોકો માટે લડું છું. કેટલાક એવા ભ્રષ્ટ લોકો, રાક્ષસીવૃત્તિવાળા લોકો કામ કરતા હોય તો આવા લોકોને જાહેરમાં સજા કરવી જોઈએ. બે-પાંચ જણાની ભૂલના કારણે લાખો યુવાનોને અન્યાય થતો હોય તો તેમને સજા થવી જોઈએ, ફાંસીએ લટકાવી દેવા જોઈએ. હું તો કહું છું કે પ્રેસને તાત્કાલિક કાયમી બ્લેકલિસ્ટ કરી દેવું જોઈએ. કડકમાં કડક સજા થવી જોઈએ.
અસિત વોરાને લઈ તેમણે કહ્યું કે મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે નૈતિકતાથી હટી જવું જોઈએ. હું તેમને ખોટા કહેતો નથી. જો સિસ્ટમ ગોઠવવાથી નબળા થયા હોય અને વારંવાર આવી ભૂલ થતી હોય તો હટી જવું જોઈએ. જો હું હોત તો નૈતિકતાથી ચોક્કસપણ હટી ગયો હોત.
તેમણે કહ્યું કે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી સજાગ થઈ અને ગંભીર રીતે આગળ વધી રહ્યા છે. જાહેરમાં કોરડે વિંઝવા જોઈએ. લાખો યુવાનોના સપના હોય છે. વાલીઓની આશા હોય છે. હું હોઉં તો સ્વેચ્છાએ હટી ગયો હોત.